નડિયાદ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો! યુવતિએ કહ્યુ-‘મારે માતા-પિતા સાથે નહીં, યાસર સાથે રહેવું છે’

નડિયાદમાં યાસરખાન સહિત કુલ 10 વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન, મરજી વિરુદ્ધ સંબંધોની ફરિયાદ કરેલી, હવે યુવતી ફરી ગઈ, હવે કહ્યું કે ‘મારે માતા-પિતા સાથે નહીં, યાસર સાથે રહેવું છે’

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેણે ચકચાર જગાવી મૂકી છે, ત્યારે થોડા સમય પહેલા નડિયાદમાંથી લવ જેહાદનો ઘણો જ ચકચારી કેસ સામે આવ્યો હતો, જેમાં હવે એક નવી અપડેટ સામે આવી છે. આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. 26 એપ્રિલ એટલે કે મંગળવારના રોજ પીડિત યુવતિએ પોલિસને અરજી આપી અને આ અરજીમાં તેણે રજૂઆત કરી છે કે, તેને યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે. આ યુવતિએ પહેલા પોતાના પર માનસિક અને અત્યાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી પરંતુ હવે તેણે તેના નિવેદનથી પલટી મારી છે.

તેણે યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. મંગળવારના રોજ યુવતીએ પોલીસને અરજી આપી અને બીજી તરફ યાસરની જામીન અરજી પાછી ખેંચાતા યુવતીનો નિર્ણય મરજીથી બદલાયો કેે દબાણથી તે હવે તપાસનો ‌વિષય બન્યો છે. નડિયાદની યુવતિએ 24 માર્ચના રોજ યાસરખાન પઠાણ અને તેના પરિવાર સહિત 10 વ્યક્તિ વિરૂદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન, સંબંધ મરજી વિરૂદ્ધ બાંધવો અને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવા સહિત અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી યાસરે યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદ તેને એકલી વિદેશ પણ મોકલી હતી અને પરત આવ્યા બાદ તેને ભાડાના મકાનમાં ગોંધી રાખી હતી. આ ઉપરાંત તેના પરિવારજનો એટલે કે તેના ભાઇ અને માતા-પિતા દ્વારા પણ તેના પર અત્યાચાર ગુજાર્યો હોવાની વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલિસે તાત્કાલિક 24 કલાકની અંદર મુખ્ય આરોપી યાસરના ભાઈ, પિતા, માતા સહિત 7 લોકોને ઝડપી જેલ ભેગા કરી દીધા હતા. જે બાદ આખરે 17 દિવસ પછી 11 એપ્રિલના રોજ યાસર પણ થાકી હારી પોલિસના શરણે થયો હતો. પરંતુ 26 એપ્રિલ મંગળવારના રોજ પીડિત યુવતી પોલીસ પાસે પહોંચી અને જાણે કે તેનું માઈન્ડ વોસ થઇ ગયુ હોય તેમ યાસર તરફે અરજી રજૂ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર યુવતિએ યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી રહેવા માંગતી હોય યાસરને છોડવા માટે રજૂઆત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.

પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં જે રીતે વળાંક આવ્યો છે તે જોતા એવું લાગી રહ્યુ છે કે આરોપી તરફે વકીલ હવે યુવતીનું એફિડેવિટ રજૂ કરી યાસર સહિત તમામ આરોપીઓને જામીન પર છોડાવવા અરજી કરી શકે છે. બીજી તરફ સમગ્ર કેસને વિડ્રો કરવા હાઇકોર્ટમાં પણ અરજી થઇ શકે છે. યુવતિએ માતા-પિતા સાથે નહિ પરંતુ યાસર સાથે રહેવાનું કહી અરજી કરી છે. આ કેસમાં પીડિત યુવતી યાસરને જામીન પર છોડવાની અરજી લઈ સોમવારે કોર્ટમાં પહોંચી હતી. ત્યારે યાસર તરફથી વકીલોના ધાડેધાડા કોર્ટમાં ઉતરી પડ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે, આગળ આ કેસમાં બીજા કયા કયા વળાંક આવી શકે છે.

Shah Jina