ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિને સંતો-મહાત્મા-ભક્તોની ભૂમિ કહેવામાં આવે છે. અહીં તમને ગામે-ગામે દેવી-દેવતાઓ અને સંતો મહાત્માઓના મંદિરો અને સ્થાનકો જોવા મળી જશે, જેનો અનેરું માહાત્મ્ય અને અનેરો મહિમા હશે. ગુજરાતમાં ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જે બધા જ સૌરાષ્ટ્રમાં આવેલા છે. ધરી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ.

ધારીથી માત્ર 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ મંદિર પૌરાણિક મંદિરોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 9મીથી 11મી સદી દરમિયાન થયું હતું. હાલના આ મંદિરમાં ભક્તોને રહેવા-જમવા માટેની વ્યવસ્થા પણ છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

શેત્રુંજી નદીની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. તેની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. માતાજી જ્યાં બિરાજમાન છે તે સ્થાનની ચારેય તરફ મોટા મોટા ડુંગરા કોતરો અને ઝરણા વહે છે. માતાજીને રવિવારે આ ધરાના પાણીથી સ્નાન કરાવીને શણગાર કરવામાં આવે છે.

લોકવાયકાઓ અનુસાર, એ સમયમાં અહીં રાક્ષસો વસવાટ કરતા હતા, જેનો સંહાર ખોડિયાર માતાજી અને તેમની બહેનોએ ખાંડણીમાં ખાંડીને કર્યો હતો. આ પછી માતાજીએ પોત મનુષ્ય દેહને ધરામાં ગાળી દીધો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થાનને ગળધરા કહેવામાં આવ્યું. કહેવાય છે કે કેટલાય સંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન આપ્યા છે.

આ મંદિરનો ઇતિહાસ લગભગ 1600 વર્ષ જૂનો માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોનલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબજ શ્રધ્ધા હતી અને કહેવાય છે કે, ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજી ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા હતા.

રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે, જયારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલ (જાહલ) ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે. આ ખોડિયાર માતાનું પ્રથમ સ્થાનક માનવામાં આવે છે.

આ મંદિર માતાજીના ભક્તોને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે. નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શને આવે છે. સામાન્ય રીતે અહીં દિવસમાં બે વાર આરતી થાય છે એક મંગલા આરતી સવારે 5:30 વાગે અને બીજી આરતી સાંજે 7:30 વાગે. પણ નવરાત્રી દરમ્યાન અહીં ત્રણ વાર આરતી થાય છે, ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.

અહીં આવેલો ધરો અહીંનું મુખ્ય આકર્ષણ છે. ચોમાસામાં અહીંનું દ્રશ્ય માણવા લાયક હોય છે. ખોડિયાર માતાજીના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ધારીથી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી અહીં પહોંચી શકાય છે. અહીં જવા માટે લોકો ખાનગી વાહનોનો વધારે પ્રાધાન્ય આપે છે.
કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો…!!! તમારી પણ મનોકામના પૂર્ણ થશે
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.