પહેલી નજરમાં દિલ આપી બેઠા હતા ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા, 15 મિનિટમાં જ બન્યો હતો પ્લાન અને 7 દિવસમાં કરી લીધા હતા લગ્ન
ખૂબ જ દિલચસ્પ છે GTના કોચ આશિષ નેહરાની લવ સ્ટોરી, ઓવલમાં થઇ હતી મુલાકાત અને 15 મિનિટમાં પ્લાન બનાવી 7 દિવસમાં જ કરી લીધા હતા લગ્ન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આશિષ નેહરાને કોઈ પરિચયની જરૂર નથી. જ્યારે તે ક્રિકેટના મેદાનમાં એક્ટિવ હતા ત્યારે તેમણે પોતાની વિનાશક બોલિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. હવે તે IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કોચ છે અને તેમની કોચિંગ હેઠળ ટીમે પહેલી જ સિઝનમાં IPL 2022નો ખિતાબ પોતાના નામે કર્યો અને બીજી સિઝનમાં ફાઇનલ સુધી પહોંચી રનર અપ રહી.

ગુજરાત ટાઇટન્સની સફળતામાં મુખ્ય કોચ આશિષ નેહરાએ મહત્વની ભૂમિકા ભજવી છે. નેહરાજી દ્વારા બનાવવામાં આવેલી શાનદાર વ્યૂહરચના સામે મહાન ટીમો પડી ભાંગી. જો કે, આજે અમે તમને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાની લવ સ્ટોરી વિશે જણાવવાના છીએ, જે ઘણી રસપ્રદ છે. નેહરાજીના લગ્ન રુશ્મા સાથે થયા છે જે એક કલાકાર છે.

2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રૂશ્મા ઓવલમાં મેચ જોવા આવી હતી, જ્યાં આશિષ નેહરા રૂશ્માના પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. રૂશ્મા પણ આશિષ નેહરાને પસંદ કરવા લાગી અને બંને એકબીજાને વારંવાર મળવા લાગ્યા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને સાત વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ બાદ આશિષ નેહરાએ પરિવારને આ વાત જણાવી હતી.

23 માર્ચ 2009ના રોજ જ્યારે નેહરા તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે તેમના મનમાં લગ્ન કરવાનો વિચાર આવ્યો અને આશિષ નેહરાએ જ્યારે આ વાત રૂશ્માને કહી તો તેણે વિચાર્યું કે તે મજાક કરી રહ્યા છે. આ વાતનો તેણે કોઇ જવાબ નહોતો આપ્યો. પરંતુ જ્યારે નેહરાજીએ બીજા દિવસે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે રુશ્મા સહમત થઇ ગઇ.

આશિષ નેહરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લગ્નનો પ્લાન માત્ર 15 મિનિટમાં જ બન્યો હતો અને લગ્ન એક અઠવાડિયામાં જ થઈ ગયા હતા. 26 માર્ચ 2009ના રોજ રૂશ્મા તેની માતા સાથે દિલ્હી પહોંચી અને 2 એપ્રિલ 2009ના રોજ આશિષ નેહરા અને રૂશ્મા લગ્નના બંધનમાં બંધાયા. તેમના લગ્નના બે વર્ષ બાદ ભારતે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

આશિષ નેહરા અને રૂશ્મા દીકરી એરિયાના અને દીકરા આરુષના પેરેન્ટ્સ છે. આશિષ નેહરાએ વર્ષ 1999માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નેહરાએ 17 ટેસ્ટ, 120 ODI અને 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન આશિષ નેહરાએ ટેસ્ટ ક્રિકેટમાં 44 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેના નામે ODI અને T20 ઈન્ટરનેશનલમાં અનુક્રમે 157 અને 34 વિકેટ છે.

આશિષ નેહરાએ 2003 વર્લ્ડ કપ દરમિયાન ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને છ વિકેટ લીધી હતી, જે આજે પણ ભારતીય ચાહકોના મનમાં છે. આશિષ નેહરા 2011ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય પણ રહી ચૂક્યા છે, જ્યાં તેમણે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે ઈજાના કારણે તે ફાઈનલ મેચ રમી શક્યા નહોતા.