...
   

ભારત બનશે દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમી ! PM બોલ્યા- ‘આ મોદીની ગેરંટી…’

વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમ્મેલનમાં રોકાણનો વરસાદ, અંબાણી-અદાણીથી સૂઝૂકી સુધી બધાએ ખોલ્યો ખજાનો

ગુજરાતમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો હતો. આ સાથે ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અબજોપતિઓએ પણ તેમાં ભાગ લીધો હતો અને રોકાણની જાહેરાત કરી હતી. આ સમિટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભારતના દરેક ખૂણે તમારા માટે તકો છે. આ સાથે તેમણે અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે અને આ ‘મોદી’ની ગેરંટી છે.

PMએ UAEની પ્રશંસા કરી
વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ફૂડ પાર્ક પર ભારત અને UAE સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ સિવાય કેટલાક અબજ ડૉલરના નવા રોકાણ કરારો પર પણ સહમતિ થઈ છે. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત થયા છે અને જે રીતે બંને દેશો પોતાના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા છે, તેનો મોટો શ્રેય શેખ મોહમ્મદ બિન ઝાયદને જાય છે.

ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આંકડાઓ ગણતા તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા ભારતીય અર્થવ્યવસ્થા 11મા સ્થાને હતી, પરંતુ હવે તે 5મા સ્થાને પહોંચી ગઈ છે. વિશ્વની રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યવાણી કરી છે કે તે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદીએ કહ્યું કે આવું થશે અને આ મોદીની ગેરંટી છે.

ભારતનું ધ્યાન આ ક્ષેત્રો પર
ગેટવે ટુ ફ્યુચરની થીમ પર આયોજિત વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2024ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે. અમારું ધ્યાન ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી, ગ્રીન હાઇડ્રોજન, સેમી-કન્ડક્ટર જેવા મહત્વના ક્ષેત્રો પર છે. વૈશ્વિક સંજોગો ગમે તે હોય, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે માળખાકીય સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેણે ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે દેશમાં રોકાણની નવી તકો પણ સતત સર્જાઈ રહી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, “રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં US $ 150 બિલિયન (રૂ. 12 લાખ કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આનાથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સનું મુખ્ય નિકાસકાર બનવામાં મદદ મળશે.”

ટાટા ગ્રુપ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને બુધવારે જણાવ્યું હતું કે ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપ 2 મહિનામાં સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 20 GW ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે.

Arcelor Mittal વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે
Arcelor Mittalના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે બુધવારે જણાવ્યું હતું કે કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. મિત્તલે કહ્યું કે આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ.2 લાખ કરોડનું રોકાણ કરશે
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે ગુજરાતમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તેમાં ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ પણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. અદાણીએ કહ્યું કે આ રોકાણથી રાજ્યમાં લગભગ એક લાખ નોકરીઓનું સર્જન થશે.

મારુતિ સુઝુકી રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે
સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ બુધવારે જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.

ડીપી વર્લ્ડ ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનાવશે
વૈશ્વિક લોજિસ્ટિક્સ કંપની ‘DP વર્લ્ડ’ના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેમે બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપની ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનાવશે. તે ભારતમાં પણ વધુ રોકાણ કરશે. “DP વર્લ્ડ આગામી થોડા વર્ષોમાં વધારાના US$ 3 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. અમે કંડલા ખાતે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું,” સુલેમે જણાવ્યું હતું. .

શું છે ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’?
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ આવૃત્તિ ‘વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ સફળતાના શિખર તરીકે ઉજવશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે.

Shah Jina