પીઢ અભિનેત્રી ચારુબેન પટેલનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, ગુજરાતી ફિલ્મ જગત શોકમગ્ન
ગુજરાતી ફિલ્મ જગતથી હાલમાં જ એક દુખદ સમાચાર સામે આવ્યા. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત દિગ્ગ્જ અભિનેત્રી ચારૂબેન પટેલનું નિધન થયું છે. ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બાકરોલ ગામમાં રહેતા હતાં. તેમને પંદરેક દિવસ પહેલા પગમાં ફેક્ચર પણ થયું હતું.
‘એક ડાળનાં પંખી’ ફેમ અભિનેત્રી ચારુબેન પટેલનું નિધન
તેમની કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી. ત્યારે આ દરમિયાન જ સવારે તેમને એકાએક હાર્ટ-એટેક આવતાં હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું. હાલ તો તેમના પાર્થિવદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારના રોજ કરવામાં આવશે.
પોતાના અભિનયથી ગુજરાતીઓના હૃદયમાં મેળવ્યુ હતુ સ્થાન
ઉલ્લેખનીય છે કે, ચારુ માં તરીકે ઓળખાતા ચારુબેન પટેલ પાલવડે બાંધી પ્રિત અને મૈયરમાં મનડુ નથી લાગતું ફિલ્મથી ઘણા પ્રસિદ્ધ થયા હતા. ‘મામાનું ઘર કેટલે’ અને ‘એક ડાળના પંખી’ જેવી ફેમસ ગુજરાતી ધારાવાહિક ઉતરાંત તેમણે ઘણા ગુજરાતી ચલચિત્રો, નાટકો અને ધારાવાહિકમાં અભિનય કર્યો છે. તેમણે પોતાના અભિનયથી ગુજરાતીઓના હૃદયમાં અલગ જગ્યા મેળવી હતી.
ચારૂબેનના એકાએક અવસાનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોક
તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ચારૂબેનના એકાએક અવસાનથી ગુજરાતી ફિલ્મજગતમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.ચારુબેન પટેલે લગભગ 100 જેટલી સીરીયલ્સમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું અને તેમણે લગભગ 70 જેટલી ફિલ્મો પણ કરેલી છે.