તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટીવી શો છે જેને ચાહકો લાંબા સમયથી પસંદ કરી રહ્યા છે. પરંતુ આ શો છેલ્લા કેટલાક સમયથી ઘણા કારણોસર ચર્ચામાં છે. આ શોને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. પરંતુ, જ્યારે શોના કલાકારો અને ક્રૂ વચ્ચે મતભેદ જોવા મળે છે, ત્યારે ચાહકો પણ તેમના પ્રિય શોને લઈને નિરાશ દેખાય છે. તારક મહેતા શો વિશે વાત કરીએ તો, હવે આ શોમાં સોનુની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી પલક સિધવાનીએ શોના નિર્માતાઓ પર પેમેન્ટ પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો છે. શો છોડ્યા બાદ તેણે અસિત મોદી પર આરોપ લગાવ્યા છે.
આ શો સાથે છેલ્લા 5-6 વર્ષથી જોડાયેલી અભિનેત્રી પલક સિધવાનીએ કહ્યું કે જ્યારે તેણે શોના મેકર્સને કહ્યું કે તે શો છોડવા માંગે છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નિર્માતાઓએ તેના પર માનસિક દબાણ કર્યું અને તેને રજાઓ પણ ન આપી. અભિનેત્રીને તેમની આ વાત પસંદ ન આવી અને તેણે અસિત કુમાર મોદી પર આરોપ લગાવ્યો. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અસિત કુમાર મોદીએ પલક સિધવાનીના આરોપોનો જવાબ આપતા કહ્યું- શો છોડ્યા પછી આ બધું સારું નથી લાગતું. જો તેણીએ શો છોડતા પહેલા આ બધું કહ્યું હોત તો આ વાત ને સમજી શક્યા હોત. સાથે જ, અત્યાર સુધી અમારી સાથે કામ કરનારા તમામ કલાકારોને અમે હંમેશા સંપૂર્ણ પેમેન્ટ આપ્યું છે. કેટલાક કલાકારો 16 વર્ષથી અમારી સાથે છે અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
આ સિવાય અસિત મોદીએ પલકના કેસમાં અનુશાસન તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે અમારે એક મહિનામાં 26 એપિસોડ શૂટ કરવાના હોઈ છે. આવી સ્થિતિમાં અમારે શો દરમિયાન અનુશાસનનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. અમે શૂટિંગ સેટના ડેકોરેશનને બગાડી શકતા નથી. તમે કોઈપણ શોમાં કામ કરતી વખતે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો? આવું ક્યાંય થતું નથી.