‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ‘રોશન સિંહ સોઢી’ તરીકે ઘર-ઘરમાં જાણીતો બનેલ ટીવી એક્ટર ગુરચરણ સિંહ 10 દિવસથી વધુ સમયથી ગાયબ છે. છેલ્લા દસેક દિવસથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે ગુરુચરણના પિતાની ફરિયાદના આધારે અપહરણનો કેસ પણ નોંધ્યો છે અને અભિનેતાને શોધવા માટે ઘણી ટીમો પણ બનાવવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે ગુરચરણ સિંહને ગુમ થયાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે, તે ક્યાં છે ?
પોલીસની ટીમો તપાસ કરી રહી છે, તો પછી હજુ સુધી અભિનેતાને કેમ શોધી શકાયો નથી ? આ ષડયંત્ર છે કે અકસ્માત ? જો કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયબ થવું એ અભિનેતાની પોતાની પ્લાનિંગ છે. રીપોર્ટ અનુસાર, તેણે ફોન પાલમમાં છોડી દીધો. તેને શોધવાનો પ્રયાસ પોલિસ કરી રહી છે પણ ફોન તેની પાસે ન હોવાથી તેને શોધવાનું વધુ મુશ્કેલ બની રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે તે એક ઈ-રિક્ષાથી બીજી ઈ-રિક્ષામાં જઈ રહ્યો છે.
એવું લાગે છે કે તેણે બધું જ પ્લાન કર્યું હતું. ગુરુચરણને છેલ્લે 22 એપ્રિલના રોજ જોવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે મારો પુત્ર ગુરુચરણ સિંહ ઉમર 50 વર્ષ 22મી એપ્રિલે 8.30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ માટે એરપોર્ટ ગયો પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો અને ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધ્યો, પરંતુ તે મળ્યો નહીં.
જણાવી દઈએ કે ગુરુચરણ સિંહને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દરેક ઘરમાં ઓળખ મળી હતી. જો કે, તેણે આ શો છેલ્લા ઘણા સમયથી છોડી દીધો છે. ગુરુચરણના ગાયબ થવાને કારણે, તેની સાથે કામ કરનારા તેના સહ કલાકારો પણ ચિંતિત છે. જેનિફર મિસ્ત્રી, સમય શાહ અને મંદાર ચંદવાડકર જેવા ઘણા સ્ટાર્સે તેના ગુમ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓને આશા છે કે તે સ્વસ્થ હશે અને જલ્દી પરત ફરશે.