...
   

 સાત માળની બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ, અત્યાર સુધી 43 લોકોનાં મોત – જુઓ તસવીરો

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે રાત્રે મોતનું તાંડવ જોવા મળ્યુ. પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 43-44 જેટલા લોકોના મોત થયા હોવાની જ્યારે 22 લોકો ઘાયલ થયા માહિતી છે. ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

સાત માળની ઈમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9.50 વાગ્યે આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી અને થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ.એક અધિકારીએ જણાવ્યું કે આગને કારણે 75 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. તેમને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ કરાતા જ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ પહોંચી હતી અને આગ કાબુમાં લાવવાના પ્રયાસ ચાલુ કર્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મોત થયા. બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેઓ બચી ગયા તેમના શ્વસનતંત્રને ખરાબ રીતે નુકસાન થયું છે.

ત્યાં ડૉક્ટરોનું કહેવું છે કે ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. પ્રશાસનનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બિલ્ડિંગના પહેલા માળે આગને કારણે લોકો ડરી ગયા હતા અને ઉપરના માળ તરફ ભાગ્યા. જો કે, ફાયર વિભાગના કર્મચારીઓએ ઇમારતના ઉપરના માળેથી ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવવા સીડીનો ઉપયોગ કર્યો હતો.

એક પીડિતે જણાવ્યું કે આગ લાગ્યા બાદ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે તેઓને પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના કાચ તોડીને નીચે કૂદી પડવું પડ્યું હતું. રાત્રે લગભગ 9:50 વાગ્યે પહેલા માળે રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ. ત્યાં ઘણી વધુ રેસ્ટોરાં અને કપડાંની દુકાન હતી. 12.30 વાગ્યે આગ કાબૂમાં આવી હતી.

Shah Jina