જનરલ રાવતના કાકાએ જણાવી ભત્રીજાની ઈચ્છા
ગઈ કાલે એક હેલિકોપ્ટર દૂર્ઘટનામાં જે 13 લોકોના નિધન થયા તેમા એક સીડીએસ જનરલ બીપીન રાવત પણ હતા, બીપીન રાવતની સાથે તેમની પત્નીએ પણ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે બીપીન રાવત મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા.
બીપીન રાવતના નિધન પર તેમના કાકાએ જણાવ્યું કે, તેમના ભત્રીજાની ઈચ્છા અધુરી રહી ગઈ. આ અંગે તેમના પૈતૃક ગામ સૈણામાં રહેતા તેમના કાકા ભરત સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમના ભત્રીજા બીપીન રાવત આવતા વર્ષે એપ્રીલમાં અહીં ગામમાં નવું ઘર બનાવવા માગતા હતા, જે ઈચ્છા હવે અધુરી રહી ગઈ.
તમને જણાવી દઈએ કે, હાલમાં પોંડી જિલ્લાના સૈણા ગામમાં તેમના કાકાનો પરિવાર રહે છે. આ ગામમાં ત્રણ મકાનો છે જેમા એક ભરતસિંહનો પરિવાર રહે છે. તેમના કાકાએ જણાવ્યું કે બીપીન રાવતને તેમના પૈતૃક ગામ પ્રત્યે ખુબ પ્રેમ હતો અને તે આવતા વર્ષે અંહી આવવા માગતા હતા. પરંતુ તેમનુ આ સપનુ હવે અધુરુ રહી ગયું.
ભરત સિંહે જણાવ્યું કે જનરલ બીપીન રાવત છેલ્લી વાર 2018માં અહીં આવ્યા હતા. જે દરમિયાન તેમણે તેમના કુળદેવતાની પૂજા અર્ચના કરી હતી. તેમજ જનરલ રાવતે અહીં એક ઘર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીપીન રાવત સેવામાંથી નિવૃત થયા બાદ અંહીં સમય પસાર કરવા માગતા હતા.
જ્યારે હેલિકોપ્ટર દૂર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તેમના કાકા,પિતરાઈ ભાઈ અને તેમની પત્નીની આંખોમાં આંસુ સમાતા ન હતા. ભરત સિંહે કહ્યું કે જનરલ રાવત નિવૃત્તિ બાદ તેમના વિસ્તારના ગરીબોની સેવા કરવા માંગતા હતા. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સીડીએસ રાવતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.