વડોદરામાં પ્રેમીપંખીડાએ એકબીજાને વચન આપેલું કે, સાથે નહિ રહી શકીએ તો મરી જઇશુ, છેલ્લે આવ્યો દુઃખદ અંત
યુવકો અને યુવતિઓ પ્રેમમાં સાથે રહેવાના અને જીવવા મરવાના વચનો આપતા હોય છે. પરંતુ હાલ જે કિસ્સો વડોદરાના સાવલીમાંથી સામે આવ્યો છે, તે ખૂબ જ હેરાન કરી દેનારો છે. સાવલીના મોક્સી ગામની યુવતિએ કાલોલના નારનપુરા ગામના યુવાન સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. મોક્સી ગામની પ્રા.શાળા પાસે જે જગ્યા પર આ પ્રેમી પંખીડા મળતા હતા ત્યાં જ બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. ગામના કોઇ વ્યક્તિએ આ પ્રેમી પંખીડાને બેભાન અવસ્થામાં જોઇ લીધા હતા અને તે બાદ ગામના અગ્રણીને આ વિશે જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના સાવલીના મોક્સી ગામમાં અક્ષરપુરીમાં રહેતી પારૂલ રાઠોડ કે જે 21 વર્ષની છે અને પંચમહાલના કાલોલના નારનપુરા ગામનો જોરાવરસિંહ રાઠોડ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તેઓએ ગામની પ્રા.શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં પડેલા આ પ્રેમી પંખીડાને ત્યાંથી પસાર થતાં ગામના કોઇ વ્યક્તિએ જોયા હતા અને તેમણે તરત જ ગામના અગ્રણીઓને આ બાબતે જાણ કરી હતી. જોતજોતામાં ગામ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આ દરમિયાન પારૂલ અને જોરાવરસિંહને બચાવવા માટે ગામની વ્યક્તિએ 108ને જાણ કરતા તરત જ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને જોરાવરસિંહને ભાદરવા ગામ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે પારૂલની હાલત ગંભીર હોવાના કારણે તેણે પ્રાથમિક સારવાર ભાદરવા આરોગ્ય કેન્દ્રમાં આપ્યા બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે, બંનેના શરીરમાં ઝેર ફરી વળ્યા હતા અને તેને જ કારણે બંનેના હોસ્પિટલોમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ ઘટનાને પગલે ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી.
![](https://gujjurocks.in/wp-content/uploads/2022/02/2.vadodara-loving-couple-committed-sui.jpg)
આ ઘટનાની જાણ ભાદરવા પોલીસને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જોરાવરસિંહ રાઠોડ ખેતી કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. તે અવાર-નવાર મોક્સી ગામમાં રહેતા તેના બનેવીના ઘરે આવતો. આ દરમિયાન તેની પારૂલ રાઠોડ સાથે આંખ મળી ગઇ હતી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેઓએ લગ્ન કરવાનો પણ નિર્ધાર કરી લીધો હતો અને સાથે એકબીજાને વચન પણ આપ્યું હતું કે, જીવનના અંત સુધી સાથે રહેશું અને જો સાથે રહી નહીં શકીએ તો સાથે મરીશું.
ત્યારે પારૂલના લગ્ન આ દિવસોમાં અન્ય યુવાન સાથે નક્કી થઇ ગયા હતા અને પરિવારજનોએ લગ્ન લેવાની આગામી દિવસોમાં તૈયારી કરી હતી. આથી તેણે પોતાના પ્રેમીને પોતાના લગ્ન અંગેની વાત કરી હતી. પારૂલ અને જોરાવરસિંહને જીવતા જીવ સાથે રહી શકીશું નહિં એવું લાગી આવતા પ્રેમના દિવસોમાં એક બીજાને સાથે રહેવાના અને સાથે મરવાના આપેલા વચન પૂરીપૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના અંગે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.