રાજકોટ શહેરના એસ.ટી.બસપોર્ટ પાછળ આવેલ બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી આઈસીયુ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં મહિલા તબીબે એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈને મોતને વ્હાલું કરી લેતાં તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે. સાથે- સાથે આ પગલું ભરવા પાછળનું કારણ અંગે બન્ને પક્ષે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો રાજકોટના મોરબી રોડ પર રોણકી ગામે રહેતી અને બાલાજી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતી એન્જલ ધવલભાઈ મોલિયા ઉં.વ.27એ 21 મે, 2025ના રોજ એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લેતાં પોતે હોસ્પિટલમાં જ ઢળી પડતાત્યાં જ તેને દાખલ કરવામાં આવી હતી. ચાર દિવસની ટૂંકી સારવાર બાદ 24 મે મોડી રાત્રે તેનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો.
મહિલા તબીબ એન્જલ મોલિયાના આપઘાત કેસને લઈ ખાનગી હોસ્પિટલના ડાયરેકટરે જણાવ્યું કે, હોસ્પિટલ શરૂ થઈ અઢી વર્ષથી અહીં ફરજ બજાવતા હતા, પોલીસ તપાસના અમારો પૂરો સહયોગ છે. અમારી હોસ્પિટલ માટે દુઃખની વાત છે. હોસ્પિટલના સ્ટાફ સાથે પણ હળીમળીને રહેતા હતા. રાજીખુશી થી જ અમારી સાથે કામ કરતા હતા. કયા કારણોસર મહિલા તબીબ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યું તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. હોસ્પિટલ સ્ટાફ સાથે પણ મહિલા તબીબનો વ્યવહાર ખૂબ જ સારો હતો.
મહિલા ડૉકટર એન્જલ મોલિયાના આપઘાત અંગે રાજકોટ પોલીસના એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 21ના રોજ મહિલા તબીબે બાલાજી હોસ્પિટલમાં એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવર ડોઝ લીધો હતો. મહિલા તબીબનું મોત થતા પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે. મહિલા તબીબે કયા કારણોસર આપઘાત કર્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા એન્જલના પતિ સહિત પરિવારજનોની પૂછપરછ હાથ ધરી નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ઈન્કવેસ પંચનામા સાથે પોસમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક મહિલા તબીબના પતિ પણ બીએચએમએસ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. તેની પૂછપરછ કરવામાં આવતાં ધવલે પણ એન્જલ સાથે કોઈ પ્રકારની તકરાર ન હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.