રાજકોટના જંગવડ પાસે ઇનોવા કાર ઓચિંતી પલટી ગઇ, 3 વિદ્યાર્થીઓના મોત- 8 ગંભીર હાલતમાં…ભાડે કાર લઇ દીવ ફરવા જઇ રહ્યા હતા મિત્રો

ગુજરાતના રાજકોટમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, આટકોટના જંગવડ પાસે ઇનોવા કાર પલટી મારી જતા રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં આંધ્રપ્રદેશના નરેશ કોડાવતી(19), મોથી હર્ષા(17) અને આફરીદ સૈયદ(17) નો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષની હોવાનું કહેવાય છે.

11-12 વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે લઈ દીવ ફરવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો. આ અકસ્માતમાં કારના પરખચ્ચા ઉડી ગયા છે. હાલ તો ત્રણેયના મૃતદેહોને પીએમ માટે રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણ તાલુકાના જંગવડ ગામ પાસે 5 સપ્ટેમ્બરે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો.

જંગવડ ગામ નજીક ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી મારી રસ્તાની બાજુમાં ખાબકી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવા JCB મશીનની મદદ લેવી પડી.ઇજાગ્રસ્ત 8 વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાંકની સ્થિતિ ગંભીર જણાવાઇ રહી છે.

ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને વધુ તપાસ હાથ ધરી. આ દુર્ઘટના બાદ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શોકનો માહોલ છવાયેલો છે. વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ આ મામલે જાણ કરી દેવામાં આવી છે, પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મૃતદેહોને તેમના વતન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!