પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવ કુમાર શર્માનું મંગળવારે મુંબઈમાં અવસાન થયું છે. તેઓએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શિવકુમાર શર્માના અવસાનથી સંગીત ઉદ્યોગમાં શોકની લહેર છે અને તેમના નિધનથી શાસ્ત્રીય સંગીતની દુનિયામાં મોટી ખોટ પડી છે. તેમણે સંતૂરની લોકપ્રિયતા ઘરે-ઘરે પહોંચાડી અને વિશ્વભરમાં સંતૂરને એક અલગ ઓળખ અપાવી. પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને તેમની સારવાર સતત ચાલી રહી હતી. તબીબોના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા.
મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. પંડિત શિવકુમાર શર્માના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ‘પંડિત શિવકુમાર શર્માના નિધનથી આપણા સાંસ્કૃતિક જગતને મોટી ખોટ પડી છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.’
ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. પંડિત જી છેલ્લા અઢી વર્ષથી લોકડાઉન અને કોવિડના સમયગાળા દરમિયાન ઘરની બહાર બહુ ઓછા નીકળ્યા હતા. તેમને છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યા હતી. જોકે, ઉંમર સંબંધિત સમસ્યાઓ અને કિડનીની સમસ્યાને કારણે તેમને ડાયાલિસિસ પણ કરાવવું પડ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 મેના રોજ સાંજે કરવામાં આવશે.
પંડિત શિવ કુમાર શર્માએ સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે ઘણા ગીતોને સંગીત આપ્યું. શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયાની જોડી બોલિવૂડમાં ‘શિવ-હરિ’ના નામથી ખૂબ પ્રખ્યાત હતી. તેમણે વાંસળીના દિગ્ગજ પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા સાથે સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. તેમાંથી ચાંદની ફિલ્મનું ગીત ‘મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાં હૈ’ ઘણું પ્રખ્યાત છે, જે દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી પર ફિલ્માવાયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પંડિત શિવકુમાર શર્માના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પંડિત શિવકુમાર જી, જેઓ સંગીત કળાના માસ્ટર હતા, જેઓ સ્વભાવે સરળ હતા અને આત્માને મંત્રમુગ્ધ કરી દેતા હતા, તેઓ મા સરસ્વતીના વિશિષ્ટ સાધક હતા. કલા અને સંગીતના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે તેમના અવસાનથી સંગીત જગતમાં એક વિશાળ શૂન્યાવકાશ ઉભો થયો છે. શોકગ્રસ્ત પરિવાર અને શિષ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ શિવકુમાર જીની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.
Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 10, 2022
જણાવી દઇએ કે, શિવ કુમાર શર્માજી 15 મેના રોજ એક કાર્યક્રમ કરવાના હતા. ઘણા લોકો આ ખાસ ક્ષણનો ભાગ બનવાની રાહ જોઈ રહ્યા હતા. આ કાર્યક્રમ શિવ કુમાર શર્મા હરિ પ્રસાદ ચૌરસિયા કરવા જઈ રહ્યા હતા. પરંતુ 15 મેના થોડા દિવસ પહેલા જ શિવકુમાર શર્માએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમણે 13 વર્ષની ઉંમરે સંતૂર શીખવાનું શરૂ કર્યું. તેમનું પહેલું પ્રદર્શન વર્ષ 1955માં મુંબઈમાં હતું.