કરૂણાંતિકા ! મેશ્વો નદીમાં ન્હાવા પડેલા 6 બાળકો ડૂબ્યા, માસૂમોના મોતથી ગામમાં શોકનો માહોલ

ખેડા જિલ્લાના કનીજ ગામમાં કરુણ ઘટના, મેશ્વો નદીમાં ન્હાવા પડેલા છ બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ

ખેડાના મહેમદાબાદના કનીજ ગામમાં હ્રદય કંપાવી દે તેવી ઘટના બની. મેશ્વો નદીમાં ડૂબી જવાને કારણે છ બાળકોના મોત થયા છે. અમદાવાદના નરોડામાં રહેતા ચાર ભાણેજ મહેમદાવાદના કનીજ ગામે મામાના ઘરે વેકેશન માણવા માટે ગયા હતા અને આ દરમિયાન મામાના બે બાળકો સાથે 6 બાળકો બપોરે નદીમાં ન્હાવા માટે ગયા. જો કે પાણી ઊંડુ હોવાને કારણે તેઓ ડૂબી ગયા અને મામા-ફોઈના સંતાનોનું કરુણ મોત નીપજ્યું.

આ ઘટનાને પગલે પરિવાર સહિત આખા ગામમાં ભારે ગમગીની ફેલાઈ ગઇ છે. ઘટનાની જાણ થતાની સાથે જ મામલતદાર, પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ તેમજ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમજ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની મહેનત બાદ ચાર મૃતદેહને બહાર કાઢ્યા.

સાંજે પાંચ વાગ્યા આસપાસ કનીજ ગામમાં મેશ્વો નદીના પટ પર ચાર બાળકીઓ અને બે બાળકો નદીમાં ન્હાવા ઉતર્યા હતા. જો કે વધારે ઉંડા પાણીમાં જવાને કારણે તેમનું દુખદ અવસાન થયુ. અત્યાર સુધી પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયા અન્ય મૃતદેહ શોધી રહ્યા છે. આ ઘટના બુધવારે સાંજે સાડા છ વાગ્યે બની હતી. છમાંથી ચાર મૃતદેહ અમદાવાદ નરોડાના છે, જેમની અંતિમ વિધિ નરોડામાં થશે અને બાકીના બેની અંતિમ વિધિ કનીજ ગામે થશે.

મૃતકોમાં દિવ્યા રામજીભાઈ સોલંકી (કનીજ), ભૂમિકા ભૂપેન્દ્રભાઈ જાદવ (કનીજ), જીનલ પંકજભાઈ સોલંકી (નરોડા, અમદાવાદ), ધ્રુવ પંકજભાઈ સોલંકી (નરોડા, અમદાવાદ), ફાલ્ગુની/ ચકુ (નરોડા, અમદાવાદ) અને મયુર (નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!