‘હિંદુ છો શું, કશ્મીરથી નથી લાગતા’, વ્યક્તિનો દાવો- હુમલાના એક દિવસ પહેલા સંદિગ્ધ આતંકી સાથે કરી હતી વાત
જમ્મુ અને કશ્મીરના પહેલગામ હુમલામાં મહારાષ્ટ્રના જાલનાનો રાઉત પરિવાર માંડ માંડ બચ્યો. રાઉતનગર વિસ્તારના રહેવાસી સંજય રાઉત તેમના પુત્ર આદર્શ અને પત્ની સાથે કશ્મીર ફરવા ગયા હતા. 21 એપ્રિલના રોજ પરિવાર પહેલગામમાં હતો. આ દરમિયાન આદર્શ રાઉત એકલા ઘોડા પર સવારી કરવા અને ખીણોમાં ફરવા ગયા.
બૈસરન ઘાટીમાં મેગીના સ્ટોલ પર રોકાઈને એક અજાણી વ્યક્તિએ આદર્શ સાથે વાતચીત શરૂ કરી. તે માણસે આદર્શને પૂછ્યું કે તું કશ્મીરી લાગતો નથી, શું તું હિન્દુ છે ? આ પ્રશ્ન પર આદર્શને થોડી શંકા ગઈ અને તેણે જવાબ આપ્યો કે હું અહીંથી છું. વાતચીત પછી આદર્શે તે વ્યક્તિને વધારે મહત્વ આપ્યું નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો.
બીજા દિવસે 22 એપ્રિલે, રાઉત પરિવાર શ્રીનગર પહોંચ્યો. તે જ દિવસે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો. હુમલા પછી જ્યારે આતંકવાદીઓના ફોટા જાહેર થયા, ત્યારે આદર્શે તેમાંથી એકને ઓળખી કાઢ્યો. આ એ જ વ્યક્તિ હતો જેણે તેની સાથે વાત કરી હતી. જાલના પરત ફર્યા બાદ આદર્શે આ માહિતી NIAને ઇમેઇલ દ્વારા આપી અને શંકાસ્પદ વ્યક્તિ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો.
આદર્શે કહ્યુ- આતંકવાદીઓ 21 એપ્રિલે જ હુમલો કરવા માંગતા હતા પરંતુ તે દિવસે ભીડ ઓછી હતી, તેથી તેમણે બીજો દિવસ પસંદ કર્યો. આ સમગ્ર મામલા પર આદર્શના પિતા સંજય રાઉતે કહ્યું કે જે જગ્યાએ હુમલો થયો ત્યાં કોઈ પોલીસ કે સુરક્ષા દળ નહોતું. જો ત્યાં સુરક્ષા વ્યવસ્થા હોત તો આ હુમલો ટાળી શકાયો હોત.