ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર કોઇના કોઇ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ત્યારે હાલમાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક દર્દનાક અકસ્માત થયો હોવાની ખબર સામે આવી છે. કુલ્લુમાં એક પ્રવાસી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા હતા જયારે 10 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવ્યુ હતુ. કુલ્લુના એસપીના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં રવિવારના રોજ રાત્રે એક ટ્રાવેલર બસ ખીણમાં પડી જતાં 7 લોકોના મોત થયા હતા
અને 10 લોકો ઘાયલ થયા હતા. 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને 5 લોકોની બંજરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કુલ્લુ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર ટ્રાવેલર બસમાં ડ્રાઈવર સહિત 17 લોકો સવાર હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મળતાં જ પોલીસ, હોમગાર્ડ અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માત રાત્રે 8.30 વાગ્યાની આસપાસ થયો હતો.
કુલ્લુના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ દુર્ઘટનાનો અંતિમ અહેવાલ આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીની માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે, 17 મુસાફરોને લઈને એક બસ પહાડી પર ચઢી રહી હતી. બસ લગભગ આખું ચઢાણ ચડી ચૂકી હતી કે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ પલટી મારવા લાગી. થોડી જ વારમાં બસ પલટી ગઈ અને સીધી ઉંડી ખીણમાં પડી. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ રાહત ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
હાલ તમામ ઈજાગ્રસ્તોને ખાડામાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની તપાસ અને સારવાર માટે ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. જો કે તમામ ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કેટલાક ઘાયલોને ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલોની હાલત ઓપરેશનમાં છે. બીજી તરફ એસપીએ જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બાકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.