ગુજરાત ટાઇટન્સની કપ્તાની અને ટીમને છોડ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયેલા હાર્દિક પંડ્યાને MIએ બનાવી દીધો કપ્તાન, રોહિત શર્માની થઇ છુટ્ટી… જુઓ કારણ
Hardik Pandya As Captain mi : થોડા જ દિવસમાં IPL 2024 માટે ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર પણ આઇપીએલની એક એક અપડેટ પર ટકેલી છે. આ બધા વચ્ચે જ હવે IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માને તેમના પદ પરથી હટાવી દીધા છે. રોહિત 2013થી ટીમનો કેપ્ટન હતો. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો કપ્તાન :
ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ થયા બાદ હાર્દિક તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો. હાર્દિક 2015 થી 2021 સુધી મુંબઈનો ભાગ હતો. હાર્દિક પંડ્યા પણ કેપ્ટન તરીકે આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. 2022માં ગુજરાત ટાઇટન્સે હાર્દિકની કપ્તાનીમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. મુંબઈએ 2022ની હરાજી પહેલા હાર્દિકને છોડી દીધો હતો. પરંતુ 2024ની હરાજી પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. હવે ટીમે રોહિતના કેપ્ટનને હટાવીને હાર્દિક પંડ્યાને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
જયવર્ધનેએ આપી માહિતી :
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ મહેલા જયવર્દનેએ કહ્યું કે અમે રોહિત શર્માનો કેપ્ટન તરીકેની શાનદાર કારકિર્દી માટે આભાર માનીએ છીએ અને આ એક પ્રક્રિયા છે જેના હેઠળ હવે હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સમાં સચિનથી લઈને હરભજન અને રિકીથી લઈને રોહિત સુધીના લીડર્સ હતા અને હવે હાર્દિક પંડ્યાનો વારો છે.
11 સીઝન સુધી રોહીતી કર્યું નૈતૃત્વ :
રોહિત શર્માને 2013ની સીઝનના મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને રોહિતે ખિતાબ જીતી લીધો હતો. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. તેણે 11 સીઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત ચેમ્પિયન બન્યો. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 158 મેચોમાં મુંબઈની કેપ્ટનશિપ કરી અને 87 મેચ જીતી.