રાજ્યમાં એક બાજુ તો ‘બેટી બચાવો બેટી પઢાવો’ના નારા લાગી રહ્યા છે અને સરકાર પણ આ બાબતે બધાને જાગૃત કરી રહી છે ત્યારે હાલમાં જ સાબરકાંઠાના હિંમતનગરમાં એક નવજાત બાળકી જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવી હતી, જે બાદ પોલીસે આ કેસમાં ઝડપી તપાસ આદરી ગણતરીના કલાકોમાં જ જનેતા સહિત તેના પિતાને પકડી લીધી હતી. આ કેસનો ભેદ પોલિસે ઉકેલી નાખ્યો છે. જો કે ક્યારેક-ક્યારેક આર્થિક પાસુ નબળું હોય તો મમતાની મૂર્તિ ગણાતી માસુમિયતને પણ દફનાવવી પડે તેવી ઘટના ખુલવા પામી છે.
જણાવી દઇએ કે, હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી એક નવજાત બાળકી જમીનમાં દાટેલી મળી આવી હતી. માતાએ આ બાબતે સ્વીકાર્યું પણ છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી હતી. તેમને પહેલેથી જ એક સંતાન હતુ અને પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હતી જેને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. આ કારણે જ બાળકીને દાટી દીધી હતી. કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા પંદરેક દિવસથી સાસરી ગાંભોઈમાં તેઓ આવ્યા હતા. હાલ તો ગાંભોઈ પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા કે જે હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેતમજૂર હતી તેને માટીમાં કાંઈક હલતું દેખાયુ અને તેણે બૂમાબૂમ કરી તો આજુબાજુના લોકો દોડી આવ્યા. અહીં ખોદતાં જોયુ તો બધાની આંખો ફાટી ગઇ. જમીનમાંથી નવજાત બાળકી મળી આવી. આ બાળકી જીવતી હતી અને તેને પગલે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.
ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તો તેના માવતર સામે રોષ પણ વરસાવ્યો હતો.આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાવામાં આવી પછી તેઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા અને કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી તેને નવજીવન આપવામાં આવ્યું. બાળકીની સારવાર હિંમતનગર સિવિલ ખાતે ચાલી રહી છે. બાળકીના માતા-પિતા જ તેના જાનના દુશ્મન બન્યા હોય તેમ જમીનમાં દાટવાનો ગુનો કર્યો હતો.
પૂછપરછમાં બાળકીના માતા-પિતા દ્વારા પોતાનો ગુનો પણ કબૂલવામાં આવ્યો હતો. અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારનો ખર્ચ અને અનેક ખર્ચના ભાગરૂપે તેને જમીનમાં દફન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માતાએ જ દીકરીને ખુલ્લા ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી. જ્યારે માતા બાળકીને દાટી રહી હતી ત્યારે પિતા આજુબાજુ ધ્યાન રાખી રહ્યો હતો કે કોઇ જોઇ તો નથી રહ્યુ ને..બાળકીને દાટ્યા બાદ બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.