અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ઉતાર્યો મોતને ઘાટ, પત્ની મીરાને હતા 2-2 બાળકો તો પણ એક વાર વિચાર ન આવ્યો

અમદાવાદમાં સાસુ-સસરાએ વહુને ઘરસંસાર ન બગાડવા સમજાવી, નરાધમ વહુએ પતિનું ગળું કાપી હત્યા કરી, ફિલ્મોને ટક્કર આપે એવી ઘટના

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કારણ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ આડા સંબંધોને કારણે પતિની હત્યા કરી નાખી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પરિણીતાએ પ્રેમી સાથેના આડા સંબંધને કારણે પતિની હત્યા કરી દીધી. આરોપી પત્નીને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડી હતી અને તે બાદ પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરું રચ્યુ અને તેની હત્યા કરી નાખી, જે બાદ લાશને કૂવામાં ફેંકી દીધી. જણાવી દઇએ કે, અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

મૃતક મયૂર સાથે પત્ની

જેમાં તેમણે જણાવ્યુ હતુ કે તેઓ પોતે ખેતી કામ કરે છે અને તેમને સંતાનમાં બે દીકરા અને દીકરી છે. તેમનો મોટો ઉદય, નાનો દીકરો મહેશ ઉર્ફે મયુર અને નાની દીકરી દીપુ છે. તેમનો મોટો દીકરો પરિવાર સાથે સુરત રહે છે અને હીરા ઘસે છે અને તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. તે છેલ્લા એકાદ વર્ષથી કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. તેને બે બાળકો છે. તેમણે આગળ જણાવ્યુ કે, લગભગ દસેક દિવસ પહેલા મહેશ ઉર્ફે મયુર તેની પત્ની મીરલ ઉર્ફે મીરા અને બે બાળકો સાથે રાજસ્થાનમાં ફરવા ગયો હતો

આરોપી પત્ની સાથે તેનો પ્રેમી

ત્યારે મહેશે ફોન કરીને જણાવ્યું હતું કે, તેની પત્ની મીરલ રાજસ્થાનમાં બે દીકરાઓને મૂકીને અનસ ઉર્ફે લાલો મનસુરી સાથે બહાર ફરવા જતી રહી છે અને તેની પત્ની મીરલ ઉર્ફે મીરાના અનશ ઉર્ફે લાલા સાથે અનૈતિક સંબંધો હોવાનો તેને શક છે. જે બાદ 2 જાન્યુઆરીએ મયુર તેના પરિવાર સાથે પરત અમદાવાદ આવ્યો અને બીજા દિવસે સવારના સમયે તેઓએ ફોન કરીને પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં તમને જાણ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે લાલાએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. તેને ધમકી આપવામાં આવી હતી કે જો આ વાત બીજા કોઇને તે કરશે તો તેને જાનથી મરાવી નાખશે.

મયુરે પિતાને પત્ની મિરલને સમજાવી ઘર સંસાર ખરાબ થતો બચાવવા માટે વાત પણ કરી. જો કે, 5 જાન્યુઆરી 2023એ સાંજે 7 વાગ્યા આસપાસ મયુરે પિતાને ફોન કરી કહ્યુ કે તે બંને બાળકો સાથે ગામડે આવે છે અને પત્ની મિરલ ગામડે આવવાની ના પાડે છે અને તે તેના પિતાના પણ કહ્યામાં નથી. જે બાદ 9 વાગ્યે મહેશ ગામડે આવવા માટે બસમાં બેસી ગયો પણ તેમણે દીકરાને ફોન કર્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને કારણે તેમણે પુત્રવધુ મિરલનો સંપર્ક કર્યો તો તેની બહેનપણી ખુશીએ ફોન ઉપાડી કહ્યુ કે, મયુર ઘરે નથી, તેને અનસ ઉર્ફે લાલાએ બોલાવ્યો છે. જો કે, પિતાએ ઘણીવાર દીકરાને ફોન કર્યો પણ ખુશીએ ફોન ઉપાડી કહ્યુ કે, તે ઘરે આવ્યો નથી અને વહુ મિરલ બે બાળકોને લઈને સુઈ ગઈ છે.

જે બાદ સવારે ફરીથી ફરિયાદીએ ફોન કરતા મિરલે મહેશ મોડી રાતથી અત્યાર સુધી ઘરે નથી આવ્યો તેવુ જણાવ્યુ હતુ. તેઓએ અમદાવાદ ખાતે રહેતા ફોઈના દીકરા પરેશ કોલડીયા તેમજ સંજય કોલડીયા અને જીગ્નેશ કરકરને ફોન કરીને મહેશ ઉર્ફે મયુરના સસરાના ઘરે તપાસ કરવાનું જણાવ્યું હતું. જેથી તે ત્રણેય જણા તેઓના દીકરા મહેશ ઉર્ફે મયુરના સસરાની દુકાને ગયા હતા અને ત્યાં દીકરાની વહુ તેમજ અનસ ઉર્ફે લાલો અને તેના સસરા હાજર હતા. જોકે, આરોપીઓએ એવું રટણ ચાલુ રાખ્યુ કે, મયુર ગઈકાલ રાતે ક્યાંક જતો રહ્યો છે અને તેઓ તેની શોધખોળ કરી રહ્યા છે.ફરિયાદી અમદાવાદ પહોંચ્યા અને તેઓ 6 જાન્યુઆરીએ રાતના સમયે વેવાઈના ઘરે કૃષ્ણનગર ખાતે ગયા. ત્યારે મિરલે જણાવ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું મહેશ પરત આવી જશે.

મૃતક

તે બાદ તેમણે દીકરાની શોધ ખોળ કરી પણ દીકરો ન મળતા અંતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. જે બાદ પોલિસે મહેશની પત્ની મિરલ, તેની બહેનપણી ખુશી અને અનશ ઉર્ફે લાલો મનસુરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી. ત્યારે સામે આવ્યુ કે, મહેશને કઠવાડા ખાતે ખેતરમાં લઈ જઇ અનસે ધારદાર ચપ્પુથી ગળાના ભાગે ઘા મારીને તેની હત્યા કરી દીધી અને રોહિત વાસના સામે ખેતરમાં આવેલા કુવામાં તેની લાશ નાખી દીધી. જે બાદ પોલિસે ત્યાં જઇ શોધ કરી તો કુવામાંથી મહેશનો મૃતદેહ મળી આવ્યો અને તે બાદ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે મીરા, તેની બહેનપણી ખુશી અને મીરાના પ્રેમી અનસ ઉર્ફે લાલો મનસુરી સામે હત્યાની ફરિયાદ નોંધાવી. હાલ તો નિકોલ પોલીસે આ અંગે ત્રણ લોકો સામે તપાસ શરૂ કરી છે.

Shah Jina