2 બાળકોની માતાએ કર્યો આપઘાત, લિપસ્ટિકથી દીવાલ પર લખી પોતાની મોતની કહાની, કહ્યુ- પતિને લાશને અડવા પણ ન દેતા

રક્ષાબંધનના એક દિવસ પહેલા 2 બાળકોની માતાએ કર્યો આપઘાત, લિપસ્ટીકથી દીવાલ પર લખી ગઇ પોતાની કહાની

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં તો ઘણીવાર કોઇ પરણિતા પતિ અથવા સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક મહિલાએ પોતાના ઘરની દિવાલ પર લિપસ્ટિક વડે સુસાઈડ નોટ લખીને ફાંસો ખાઈ લીધો. બુધવારે 26 વર્ષની એક મહિલાએ પોતાના રૂમની દિવાલો પર લિપસ્ટિક વડે સુસાઈડ નોટ લખીને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ચંદા દેવી તરીકે થઈ છે. તે બે બાળકોની માતા હતી અને ઘરમાં પતિની હેરાનગતિથી કંટાળીને તેણે આવું ભયજનક પગલું ભર્યું હતું. પોલીસે જણાવ્યું કે, મહિલાએ પોતાની સુસાઈડ નોટમાં પોતાની આત્મહત્યા માટે તેના પતિ દિલીપ ચૌહાણ અને તેના સાસરિયાઓને જવાબદાર ગણાવ્યા છે.ચંદાએ 2019માં દિલીપ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી ચંદાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો. ચંદાના પરિવારજનોએ તેના સાસરિયાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે દિવાલો પર તેના પતિ અને સાસરિયાઓના નામ લખ્યા હતા અને તેણે લખ્યું હતું કે તે કંટાળી ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો છે કે તેની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેણે એમ પણ લખ્યુ કે તેના મૃત્યુ પછી તેના પતિને તેના શરીરને સ્પર્શ કરવાની મંજૂરી નથી. મૃતકના પરિવારના સભ્યો તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. રાંચીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે આ કેસના આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

મૃતકની માતાએ જણાવ્યું કે ચંદાનો પતિ દિલીપ બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. મૃતક ચંદાને બે નાની છોકરીઓ છે જેમાં એક 2 વર્ષની અને બીજી એક વર્ષની છે. મૃતકની પીઠ પર ઈજાના નિશાન હતા અને જ્યારે મૃતદેહને નીચે લાવવામાં આવ્યો ત્યારે મૃતકના માસીએ શરીરના ભાગે ઈજાની જાણ કરી હતી. માસીએ જણાવ્યું કે પીઠ પર બેલ્ટ વડે માર મારવાના ગંભીર નિશાન હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે ચંદાને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને પછી તેને ફાંસી પર લટકાવી દેવામાં આવી.

પોલીસે સુસાઈડ નોટ અને ચંદાના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કરવામાં આવેલા આરોપોના આધારે એફઆઈઆર નોંધી છે. જોકે, પોલીસ હત્યાના એંગલથી પણ કેસની તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ રક્ષાબંધન પૂર્વે બનેલી આ ભયાનક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને તમામ દોષિતોને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી આત્મહત્યાનો આ સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

Shah Jina