મહિલા કંડક્ટર પર બસ ઓપરેટરો દ્વારા લગાવાયો ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ, તો કરી લીધો આપઘાત

ચોરીના આરોપના આઘાતમાં મહિલા કંડક્ટરે લગાવી ફાંસી : ટિકિટના રૂપિયા ચોરાવાનો આરોપ લગાવી સંચાલકોએ નોકરીથી નીકાળી દીધી

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, લગ્નેતર સંબંધ, માનસિક-શારીરિક હેરાનગતિ સિવાય અનેક કારણો હોય છે. ઘણીવાર કેટલાક લોકો પોતાના પર લાગતા ખોટા આરોપોને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં સિલવાસા સ્માર્ટ સિટીના બસ કંડક્ટર પર બસ ઓપરેટરો દ્વારા ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો,

જેના કારણે મહિલા કંડક્ટરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પિતાનો આરોપ છે કે ઓપરેટરોએ પુત્રી પર ચોરીનો આરોપ લગાવીને તેને ફરજ પરથી બરતરફ કરી દીધી હતી. આનાથી તે એટલી દુખી થઇ કે તેણે ઘરે ગળેફાંસો ખાઈ લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલીમાં સિલવાસા સ્માર્ટ સિટી બસમાં કંડક્ટર તરીકે કામ કરતી સરસ્વતી ભોયાને બસ ઓપરેટરોએ ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ લગાવીને ફરજ પરથી બરતરફ કરી દીધી હતી.

સરસ્વતીએ ઓપરેટરોને તેને બરતરફ ન કરવા વિનંતી કરી અને તપાસ માટે કહ્યુ, પણ તેઓ સંમત ન થયા. આ પછી સરસ્વતીએ તેના પિતાને આ વાત કહી. પિતા પોતે પુત્રીને લઈને સંચાલકો અને અધિકારીઓને આજીજી કરતા રહ્યા, પણ કોઈએ તેમની વાત સાંભળી નહીં. સરસ્વતી ઘરે પહોંચી અને પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો. ઘણા સમય સુધી રૂમનો દરવાજો ન ખૂલ્યો તો પિતાએ પાડોશીઓને જાણ કરી અને જ્યારે લોકો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા ત્યારે તેમણે સરસ્વતીને ફાંસીથી લટકતી જોઈ. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્માર્ટ સિટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

Shah Jina