અત્તરના વ્યાપારી પિયુષ જૈનના ઘરેથી જપ્ત કરવામાં આવેલ 257 કરોડ રૂપિયાની રોકડ આખરે કોને સોંપવામાં આવશે ?

દેશભરમાં ઘણા સ્થળો ઉપર આયકર વિભાગના દરોડા પડે છે અને તેમાં ઘણી બધી અવૈધ સંપત્તિનો ખુલાસો પણ થાય છે, ત્યારે હાલ કાનપુરના એક અત્તરના વ્યાપરીના ઘરે પડેલા આયકર વિભાગના દરોડા ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે, મીડિયા રિપોર્ટ અનુસાર તેમના ઘરમાંથી 257 કરોડ રૂપિયા રોકડા અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.

ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ગુરુવારે પીયૂષ જૈનના મુંબઈ, કન્નૌજ, ગુજરાત અને કાનપુરના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પિયુષ જૈનની ફેક્ટરી, ઓફિસ, કોલ્ડ સ્ટોરેંજ અને પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાનપુરમાં પિયુષ જૈનના ઘરમાં નોટોના બંડલોથી ભરેલુ કબાટ અને ભોંયરું મળવાના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ચોક્કસ થાય કે આયકર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ સંપત્તિ આખરે જશે ક્યાં ?

તો તમને જણાવી દઈએ કે પિયુષ જૈનને ત્યાં છાપામારીમાં જે રકમ સીઝ કરવામાં આવી હતી તેને સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવશે અને પિયુષ જૈન અને તેમના પરિવારને પુરાવા સાથે આ રકમનો સ્ત્રોત જણાવવાની તક આપવામાં આવશે. જો જૈન સાબિત કરે છે કે દરોડામાં મળેલી રકમ કાળું નાણું નહીં પણ વ્હાઇટ મની છે, તો જપ્ત કરાયેલી સંપત્તિ તેમને પરત કરવામાં આવશે.

વ્હાઇટ મનીનો અર્થ એ છે કે પૈસાનો માન્ય સ્ત્રોત છે, તેનો હિસાબ છે અને તેના પર ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. તે અઘોષિત સંપત્તિ નથી. જો જપ્ત કરાયેલી રોકડ અને સંપત્તિઓ કાળું નાણું હોવાનું બહાર આવશે, તો જૈન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે અને ટેક્સ અને ભારે દંડ વસૂલવામાં આવશે. કેટલાક ગંભીર કેસમાં જેલની જોગવાઈ પણ છે.

જો પિયુષ જૈન પાસેથી મળી આવેલી કરોડોની રકમ જો કાળું નાણું છે, તો તેની સામે કેસ નોંધ્યા પછી, નાણાં આરબીઆઈમાં જશે અને પછી તે ચલણમાં આવશે. આરબીઆઈમાં જવાનું કારણ એ છે કે આવકવેરા વિભાગ એક કેન્દ્રીય એજન્સી છે. આથી ઈન્કમટેક્સ રેઈડમાં ઝડપાયેલું કાળું નાણું આરબીઆઈમાં જમા થાય છે. જો રાજ્ય સરકાર હેઠળની તપાસ એજન્સી દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હોત તો વસૂલ કરાયેલી રકમ રાજ્ય સરકારની તિજોરીમાં ગઈ હોત.

Niraj Patel