આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જેમને પશુઓ અને પક્ષીઓ પ્રત્યે ખુબ જ પ્રેમભાવ હોય છે. પશુઓ અને પક્ષીઓ પણ ઘણીવાર માણસો સાથે પણ એ રીતે ભળી જતા હોય છે કે તેમની સાથે જ રહેવા લાગે છે. ઘણીવાર આપણે જોયું છે કે આવા પાલતુ પશુ પક્ષીઓના નિધનથી લોકોને પણ ખુબ જ દુઃખ થાય છે.

છેલ્લા થોડા દિવસોમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા જ રાજસ્થાનમાં એક મોરના મૃત્યુ પામવાની ઘટના સામે આવી હતી, જેના બાદ એક કપિરાજના નિધનથી આખું ગામ શોકમગ્ન બન્યું હતું અને વાજતે ગાજતે તેને અંતિમ વિદાય આપવાની ઘટના પણ સામે આવી હતી, ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ચકલીના નિધન ઉપર આખું ગામ શોકમગ્ન બન્યું છે.
આ ઘટના સામે આવી છે કર્ણાટકના ચિક્કબલલપુર જિલ્લામાંથી. જ્યાં એક ચકલીના નિધન ઉપર લોકોને ઊંડો આઘાત લાગ્યો છે. ચકલીના નિધન ઉપર ગામના લોકોએ એક સાથે ભેગા મળીને શોક વ્યક્ત કર્યો. એક માહિતી અનુસાર આ ચકલી ગામના લોકોના ઘરે જતી હતી અને લોકો તેની સાથે ઘણા હદ સુધી જોડાયેલા હતા.
જેના કારણે જ ગામના મોટાભાગના લોકો ચકલીના મૃત્યુથી દુખી છે. ચકલીના મૃત્યુ પછી, ગ્રામજનોએ તેને દફનાવવાનું નક્કી કર્યું. તેની દફનવિધિ પછી ગ્રામજનોએ તેની યાદમાં એક સુંદર સંધાઈ પણ બનાવી હતી. એક ખાસ વાત એ છે કે ચકલીના મૃત્યુના 11મા દિવસે તમામ લોકોએ જરૂરી વિધિ પણ કરાવી હતી.

ચકલીને છેલ્લી શ્રદ્ધાંજલિ આપતાં તેમની યાદમાં ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. ગામના વડીલોએ આ જવાબદારી સારી રીતે નિભાવી. ચકલીની યાદમાં એક પંડાલ બનાવવામાં આવ્યો હતો અને તેના પર ચકલીના ચિત્રવાળા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ ગામના રહેવાસીઓ કહે છે કે પક્ષી તેમના વરંડામાં આવતું હતું, જેનાથી તેમને ખબર પડતી કે સવાર થઇ છે. તે તેના માટે મુઠ્ઠીભર અનાજ રાખતા હતા અને ચકલી અનાજના દાણા લઈને ઉડી જતું હતું. બાળકો પણ દરરોજ ચકલીના આગમનની રાહ જોતા હતા.