મહામારીના સમયમાં પ્રભુતામાં પગલાં પાડી રહેલા વડોદરાના આ નવદંપતીની અનોખી પહેલ, રજીસ્ટર મેરેજ કરી અને યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ

કોરોના મહામારીના કારણે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ત્યારે લગ્ન અને મરણ જેવી પ્રથાઓ પણ હાલમાં બદલાઈ ગઈ છે. લગ્નની અંદર પણ હવે ગણતરીના લોકોને જ હાજરી આપવામાં આવી રહી છે. ત્યારે ઘણા લોકો આવા નિયમન ધજાગરા ઉડાવતા પણ જોવા મળે છે.

પરંતુ વડોદરામાં પ્રભુતામાં પગલાં માંડી રહેલા એક નવદંપતીએ કોરોના સન્ક્ર્મણ અટકાવવા માટે જે પગલું ઉઠાવ્યું છે તેની હવે ચારેય તરફ પ્રસંશા થઇ રહી છે. શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા જયેશભાઇ નવીનચંદ્ર મિસ્ત્રીના લગ્ન કરીના સાથે નક્કી થયા હતા. પરંતુ ચારેય તરફ ફેલાયેલી આ મહામારીના કારણે તેમને સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કરી અને આજરોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

આ દરમિયાન તેમને મહેમાનોને પણ બોલાવવાના બદલે એક અનોખું કાર્ય કર્યું હતું. આ નવ દંપતીએ વિજયનગર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં બે કલાક સુધી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 50 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું.

દેશભરમાં પહેલી મેથી 18થી વધુ વર્ષના લોકો વેક્સિન આપવાની શરૂઆત થવાની છે અને વેક્સિન લીધા બાદ યુવાનો બ્લડ ડોનેટ નહીં કરી શકે, તે હેતુથી વેક્સિન લીધા પહેલા યુવાનો બ્લડ ડોનેટ કરી શકે તે હેતુથી આજે લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બ્લડ ડોનેટ કર્યું હતું.

રક્તદાન કરી રહેલા આ દંપતીનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે જેમાં વરરાજા જયેશ મિસ્ત્રી જણાવે છે કે, “આજે આજે હનુમાન જયંતિએ કોર્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કરીને લગ્નગ્રંથીથી જોડાયા છીએ. સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને અમે આજે લગ્ન કર્યાં છે અને લગ્ન જીવનના પહેલા દિવસે અમે આજે સામાજિક સેવાનું કામ કર્યું છે. અમે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આજે સમાજ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવુ જોઇએ અને સામાજિક મેળાવળા કરવા ન જોઇએ. બને એટલુ શાંતિથી ઘરમાં જ રહેવુ જોઇએ. જેથી સંક્રમણને ફેલાતુ આપણે અટકાવી શકીએ.”

તો આ વીડિયોની અંદર કન્યા કરીના મિસ્ત્રી પણ જણાવી રહ્યા છે કે, “અમે સમાજને પ્રેરણા આપવા માગીએ છીએ, જેના માટે અમે આજે લગ્નના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને સાદાઇથી લગ્ન કર્યાં છે.”

આ રક્તદાન ક્રાયક્રમમાં વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને  અભિનંદન અને શુભકામનાઓ પાઠવી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, “આજના આ દિવસે હનુમાન જયંતી પણ હોવાથી જે રીતે હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતા, તે પ્રમાણે તંત્ર સંજીવની રથ દ્વારા કોરોના સામે લડત ચલાવી રહ્યો છે અને આપણે સૌ ભેગા મળી કોરોના ને હરાવીશું.”

Niraj Patel