વડોદરાના નામચીન બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, સુસાઇડ નોટની અંદર લખ્યા આપઘાત કરવા મજબુર કરનારના નામ, જુઓ

3 કરોડના દેવા નીચે ફસાઈ ગયેલા વડોદરાના બિલ્ડરને વ્યાજખોરોએ આપ્યો એવો ત્રાસ કે ઓફિસમાં જઈને ખાઈ લીધી ઊંઘની 30 ગોળીઓ…. જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે જીવન ટૂંકાવે છે તો ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે જીવન ટૂંકાવી લેતા હોય છે. આ ઉપરાંત વ્યાજખોરોના ત્રાસના કારણે પણ અત્યાર સુધી ઘણા લોકોએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

ત્યારે હાલ એવો જ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક નામચીન બિલ્ડરે સુસાઇડ નોટની અંદર વ્યાજખોરોના નામ લખીને આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે તે બચી ગયા હતા. પોલીસે આ મામલે સુસાઇડ નોટ કબ્જે કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં સી-2, માંગલ્ય ટેનામેન્ટમાં રહેતા બિલ્ડર જયેશભાઇ પારેખ 3 કરોડના દેવા નીચે ફસાઈ ગયા હતા. જેના કારણે તે આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યા હતા. ઉપરથી વ્યાજખોરોનો ત્રાસ પણ વધી રહ્યો હતો. જેના કારણે તેમને ગોત્રી સ્થિત પોતાની ઓફિસની અંદર ઊંઘની 30 ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આપઘાતનો પ્રયાસ કરતા પહેલા તેમને એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમને લખ્યું હતું કે “‘હું રમેશ પ્રજાપતિના કારણે આપઘાત કરું છું” આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપે છે અને દર મહિને વ્યાજના 4.50 લાખ રૂપિયા માંગે છે. જમીન માલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બનાખત નથી કરવા દેતો.

જયેશ પારેખે આ ચિઠ્ઠીમાં લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ, વ્યોમેશ ચીમન પટેલ, કૌશિક ચીમન પટેલ, પિયુષ વિનય ચંદ્ર શાહ, ગિરીશ ભીખાભાઈ પટેલ, સુનીલભાઈ અગ્રવાલના નામનો ઉલ્લેખ કર્યો છે. બિલ્ડર રમેશ પ્રજાપતિ વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને મેયર રહી ચૂક્યાં છે. ત્યારે હાલ જયેશ પારેખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આ મામલે હવે પોલીસ પણ તપાસ કરી રહી છે.

Niraj Patel