ગુજરાતમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ સુરતમાં દિન પ્રતિદિન આવા કિસ્સાઓમાં ધરખમ વધારો થવા લાગ્યો છે. ઘણા પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના કારણે તો કોઈ પારિવારિક વિવાદને લઈને પણ આપઘાત કરી લે છે. તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે પણ મોતને વહાલું કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સુરતના કતારગામની નીલકંઠ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય મેહુલ દેવરાજ દેવગણીયાએ તેમના પરિવારની જાણ બહાર બેંક લોન લીધી હતી, જેના હપ્તા તે ભરી શકતો નહોતો. જેના કારણે બેંક દ્વારા કડક ઉઘરાણી કરતા મેહુલ માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
મેહુલ તેના માતાપિતા , નાના ભાઈ અને પત્ની સાથે રહ્યો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. મેહુલ અને તેનો પરિવાર મૂળ સૌરાષ્ટ્રના મહુવાના વતની હતા અને મેહુલ સુરતમાં રત્નકલાકાર કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ મેહુલના આપઘાત બાદ પરિવારે કમાઉ દીકરો ગુમાવી દીધો, પરિવાર માથે પણ આ સમયે દુઃખોનું આભ તૂટી પડ્યું છે.
આ ઘટના બાદ જહાંગીરપુરા પોલસીએ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે મેહુલના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેહુલ પાસે બેંકવાળા છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરી રહ્યા હતા. પરિવારને પણ કેટલી લોન બાકી હતી તે અંગે કોઈ ખબર નહોતી.
ગતરોજ મેહુલ જહાંગીરપુરા ના કનાદ ફાટક નજીક તેના મિત્ર સાથે ગયો હતો, જ્યાં તેને તેના મિત્રની નજર ચૂકવી અને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પછી તેના મિત્રને દુર્ગંધ આવતા તેને દબાણ પૂર્વક મેહુલની પુછપરછ કરી હતી અને મેહુલે દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ઘણી જ મોડું થઇ ગયું હતું અને ટૂંકી સારવાર બાદ મેહુલ મોતને ભેટ્યો હતો.