પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના દુઃખમાંથી હજુ તેનો પરિવાર બહાર નથી આવી શક્યો. ત્યારે ગઈકાલે તેની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ દિવંગત પુત્રની પથ્થરની પ્રતિમાને પોતાની આંખો સામે જોઈને રડી પડ્યા હતા. બલકૌર સિંહે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેમને ક્યારેય તેમના પુત્રની આવી મૂર્તિ જોવી પડશે.
તમને જણાવી દઈએ કે દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ તાજેતરમાં જ માનસામાં પોતાના પુત્રની 6.5 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે રડી પડ્યા હતા. તે જ સમયે, તેમણે કહ્યું કે તેમનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. અનાવરણ બાદ એક ઈન્ટરવ્યુમાં બલકૌર સિંહે કહ્યું, “હું મારા પુત્રને આવી મૂર્તિના રૂપમાં જોઈ શકતો નથી. અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. હત્યારાઓ ભલે અહીં બેઠા હોય કે વિદેશમાં, તેમને સજા મળવી જ જોઈએ.”
જ્યાં સિદ્ધુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જ જગ્યાએ ગાયકની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બલકૌર સિંહે સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે તેણે સિદ્ધુ મુસેવાલાને માર્યો, તેને સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે. તેની સાથે 200 પોલીસકર્મીઓ અને બુલેટપ્રૂફ વાહનો કેમ છે?
તમને જણાવી દઈએ કે સિદ્ધુના નિધન બાદ તેમના પિતા ચૂંટણી લડશે તેવી અફવા ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. તેના પર તેમણે પોતે જ કહ્યું હતું કે જે પણ ચાલી રહ્યું છે તે બધી અફવાઓ છે. અને તેમણે લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા કહ્યું. તેમણે કહ્યું, “મેં તાજેતરમાં જ મારો પુત્ર ગુમાવ્યો છે. મારો ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી. આ મુશ્કેલ સમયમાં મને સાથ આપવા બદલ આભાર.”
View this post on Instagram
પંજાબના માનસા જિલ્લામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના એક દિવસ પહેલા પંજાબ પોલીસે તેની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. સિંગર ગયા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે અને ઘણા શાર્પ શૂટર્સ પણ ઝડપાયા છે.