ખુબ જ કરુણ ઘટના: ગુજરાતમાં અહીં ગર્ભવતી મહિલાને ના મળ્યું વેન્ટિલેટર, ગર્ભમાં રહેલા બાળક સાથે જ ગુમાવ્યો જીવ

કોરોના મહામારીની અંદર  ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઘણી એવી કરું ઘટનાઓ સામે આવે છે, જે જોઈને આપણે પણ હચમચી ઉઠીએ. હાલ પાલનપુરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે.

પ્રાપ્ત માહિતી અનુસાર જલોત્રા ગામે પરણાવેલી પ્રસુતાની તબિયત બગડતા પાલનપુર સિવિલમાં દાખલ કરાઈ હતી જ્યાં કમનસીબે મોતને ભેટી ગઈ હતી. બે વર્ષ પહેલા વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા પરણાવેલી ઉર્વશીબેન દિનેશભાઈ પ્રજાપતિ નામની પ્રસૂતા મહિલાની અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

હોસ્પિટલમાં દાખલ કર્યાના બે દિવસ બાદ ગુરુવારે વધુ તકલીફ થતા પ્રસૂતાને વેન્ટિલેટર પર દાખલ કરવા માટે સિવિલમાં દબાણ વધાર્યું હતું પરંતુ સિવિલમાં ઓક્સિજન સપ્લાય ઓછો હોવાથી વેન્ટિલેટર કાર્યરત ન હતા.

પાલનપુર, ડીસા બાદ પાટણમાં તપાસ કરતા સબરીમાલ હોસ્પિટલ તેમજ લાઇફલાઇન હોસ્પિટલમાં પણ પરીવારજનોએ વાત કરી હતી. જોકે એમની પાસે પણ જગ્યા નહોતી. પાલનપુરના અંકિત મોદીએ જણાવ્યું કે “આ બાબતે મને જાણવા મળતા મેં તપાસ કરાવતા રાજકોટમાં એક વેન્ટિલેટર ખાલી મળી જાય એવું જાણવા મળ્યું અને ત્યાં વાત કરી પરંતુ પેશન્ટને અહીથી લઇ જવું ખુબજ ક્રિટીકલ હતું ત્યાં જતાં 8 કલાક જેવો સમય નીકળી જાય તેવી સ્થિતિ વચ્ચે તપાસ કરતા ગણેશ એમ્બ્યુલન્સમાં વાત કરી પરંતુ કોઈ એમ્બ્યુલન્સ ખાલી નહોતી.

ધારપુરમાં તપાસ કરીને જગ્યા મળી જશે તેવી માહિતી મળતા ધારપુર તપાસ કરવા ગયા પરંતુ અંતે એજ વસ્તુ નહોતી જે ઓપરેશન માટે જરૂરત હતી. જે બધામાં સમય ખુબજ નીકળી ગયો અને પાલનપુર સિવિલમાં વેન્ટિલેટર ન મળવા ના કારણે એક ગર્ભવતી મહિલાને બાળક સાથે જીવ ગુમાવી દેવો પડ્યો હતો.”

આ મામલે દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો સુનિલ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ” વેન્ટિલેટર પર કોઈ પેશન્ટને ત્યારે લઈ શકીએ જ્યારે ઓક્સિજનનું પ્રેસર પૂરેપૂરું આવતું હોય અને પ્રતિમિનિટ 50 લિટર ઓક્સિજન સપ્લાય આપી શકાતો હોય એ પ્રકારની સ્થિતિ હાલ પાલનપુર સિવિલમાં નથી કે કોઈને વેન્ટિલેટર પર લઈ શકીએ.”
(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel