લાલ ભીંડાની ખેતી કરીને માલામાલ થઈ ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા

લાલ ભીંડાની ખેતીએ ખેડૂતની બદલી નાખી કિસ્મત

ભારતીય ખેડૂતો હવે જાગૃત થયા છે. તેઓ નવા પાક અને તકનીકોમાં તેમનો રસ બતાવી રહ્યા છે. તે ખેતીમાંથી વધુ નફો મેળવવા માટે પાકની નવી પ્રજાતિઓનું ઉત્પાદન પણ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

મધ્યપ્રદેશના ખેડૂતે લાલ ભીંડાની ખેતી કરી : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ખજુરીકાલાં ગામના ખેડૂત મિશ્રીલાલે સામાન્ય ભીંડાને બદલે પોતાના ખેતરમાં લાલ ભીંડા ઉગાડ્યા છે. જેને જોવા અને આ ખેતી કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવા માટે ખેડૂતો દૂર -દૂરથી આવી રહ્યા છે.

લાલ ભીંડાના ઉત્પાદનમાં વધુ નફો : ખેડૂત મિશ્રીલાલ કહે છે કે સામાન્ય ભીંડા કરતા લાલ ભીંડાની ખેતીમાં તેમને વધુ નફો મળી રહ્યો છે. બજારમાં, સામાન્ય ભીંડા મહત્તમ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. પરંતુ લાલ ભીંડાનો ફાયદો એ છે કે કેટલીક વખત તેની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો સુધી પણ પહોંચી જાય છે. તે આગળ કહે છે કે તેમના પાકમાં થયેલો ખર્ચ ઘણા સમય પહેલા નીકળી ગયો છે અને હવે તે આ પાકમાંથી ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.

કેવી રીતે શરૂઆત થઈ? : મિશ્રીલાલના જણાવ્યા મુજબ, લાલ ભીંડા ઉગાડવાનો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે તેઓ એક વખત વારાણસી નજીકના કેલાબેલામાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વેજિટેબલ રિચર્સની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, તેમણે કૃષિ નિષ્ણાતો પાસેથી લાલ ભીંડાના આર્થિક અને આરોગ્ય લાભો વિશે માહિતી લીધી. મિશ્રી લાલે 1 કિલો લાલ ભીંડાના બીજ ખરીદ્યા અને તેના ગામમાં આવ્યા બાદ તેની ખેતી શરૂ કરી અને આજે તે ખેડૂતો માટે એક ઉદાહરણ બની ગયા છે.

આરોગ્ય માટે ફાયદાકારક : લાલ ભીંડામાં એન્ટી ઓક્સિડેન્ટ અને આયર્ન જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો સ્વાદ પણ સામાન્ય ભીંડાથી અલગ છે. આજકાલ લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લાલ ભીંડા વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે. આ ઉપરાંત, લાલ ભીંડા રાંધવામાં ઓછો સમય લાગે છે. આ સિવાય, તેની ખેતીમાં ખર્ચ પણ સામાન્ય ભીંડા કરતા ઓછો છે, તેથી નફો પણ વધારે મળે છે.

Patel Meet