ચોટીલા ડુંગર પર કેમ કોઇ નથી કરતુ રાત્રિ રોકાણ ? જાણો રહસ્ય

કેમ આજે પણ ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે, વાંચો રહસ્ય

સુરેન્દ્રનગરમાં આવેલ ચોટીલા ધામ કે જ્યાં ચોટીલા ડુંગર પર મા ચામુંડા વિરાજમાન છે. માં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ જગ્યાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા.

જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ હેરાન કરતા અને પછી એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે.

પરંતુ શું તમને ખબર છે, ચોટીલા ડુંગર પર સાંજ પડતા જ પૂજારી સહિત બધાને નીચે ઉતરી જવુ પડે છે. રાત્રે મંદિરના પૂજારી પણ ડુંગર પર નથી રોકાતા. એવું કહેવાય છે કે રાતે કોઈ મનુષ્ય ડુંગર પર નથી રહી શકતો. આની પાછળ એક માન્યતા જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે. જો કે, ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું હતુ કે, ડુંગર પર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, આજે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે. રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ચામુંડાની સિંહ પર સવારી છે, એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!