મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં એક વ્યક્તિએ પોતાની જ પરણિત પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી દીધી. પિતાએ પુત્રી અને તેના પ્રેમીના હાથ-પગ બાંધીને નિર્દયતાથી તેમને કૂવામાં ફેંકી દીધા. આ ઘટનાને જેણે પણ સાંભળી તે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘટનાની માહિતી મળતાં જ હડકંપ મચી ગયો હતો. જાણકારી મળતાં જ પોલીસે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. આ મામલામાં પોલીસે આરોપી પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આરોપીઓમાં પિતા સાથે સાથે મૃતકાના કાકા અને દાદા પણ સામેલ છે. આ મામલો નાંદેડ જિલ્લાના ઉમરી તાલુકાના કરકલા શિવરાનો છે. મૃતકોની ઓળખ સંજીવની સુધાકર કામલે વય ૧૯ વર્ષ અને લખન બાલીજી ભંડારે વય ૧૯ વર્ષ છે. મૃતક યુવતી સંજીવની પરણિત હતી જ્યારે લખન અપરિણીત હતો. સંજીવનીનો લખન સાથે પ્રેમ સંબંધ હતો. લખન સોમવારે તેને મળવા તેના સાસરે ગયો હતો. તે સમયે સાસરાવાળાઓએ સંજીવની અને લખનને આપત્તિજનક પરિસ્થિતિમાં પકડી લીધા. આ જોઈને ગુસ્સે થયેલા સાસરિયાએ સંજીવનીના પિતા મારુતિ સુરાણેને ફોન કરીને ત્યાં બોલાવ્યા. જેવી જ દીકરીના પ્રેમ-પ્રસંગ વિશે જાણ થઈ કે પિતા તરત જ ત્યાં પહોંચી ગયા.

આ પછી સાસરિયાએ યુવતીના પિતાને સંજીવની અને લખનના પ્રેમ પ્રસંગ વિશે જણાવ્યું અને છોકરીને પાછી મોકલી દીધી. તેઓએ કહ્યું કે અમને તમારી દીકરીની જરૂર નથી. તેને ઘરે લઈ જાઓ. ગુસ્સે થયેલ પિતા સંજીવની અને તેના પ્રેમીને ગામમાં લઈ ગયો. આ સમયે છોકરીના કાકા અને દાદા પણ તેની સાથે હતા. મારુતિએ સંજીવની અને તેના પ્રેમી લખનના હાથ-પગ બાંધીને તેમને કૂવામાં ફેંકી દીધા, જેનાથી તેમનું મૃત્યુ થયું. પાછળથી તે પોતે પોલિસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ કર્યો.
