30 ઓક્ટોબર 2022નો દિવસ ખાલી મોરબીના લોકો માટે જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના અને દેશના લોકો માટે કાળો દિવસ સાબિત થયો હતો. આ દિવસે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો હતો અને આ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આ મામલે ઘણી અપડેટ અત્યાર સુધી સામે આવી ચૂકી છે. પણ હાલ જે અપડેટ સામે આવી છે તે મુખ્ય છે. મોરબી દુર્ઘટનાને લઈને ઓરેવા ગ્રુપના માલિક અને મુખ્ય આરોપી જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. મુખ્ય આરોપી જયસુખ પટેલને કોર્ટ બહાર લાવતા જ મૃતકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હાય હાયના નારા લાગ્યા હતા.

જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આ મામલે સરકારી વકીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યુ- જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને તેની પોલીસ રિમાન્ડની અરજી કરવામાં આવશે. આ સાથે જયસુખ પટેલને કોણે આશરો આપ્યો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, જયસુખ પટેલની રિમાન્ડમાં ઘણા ખુલાસા પણ થઈ શકે છે. ગત 25 જાન્યુઆરીના રોજ આ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી અને તેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.

જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. જણાવી દઇએ કે, જયસુખ પટેલ છેલ્લા દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા સમન્સની તેણે અવગણના પણ કરી હતી. મોરબી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ થઇ ગયો હતો અને તે બાદ 24 જાન્યુઆરીએ અચાનક તેના વકીલ દ્વારા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરાઇ હતી. આ અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. જણાવી દઇએ કે, મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં તૂટી પડ્યો હતો,
રવિવારનો દિવસ હોવાથી અનેક લોકો અહીં ફરવા માટે આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરંતુ કમનસીબે આ દુર્ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકોના મોત થયા હતા. જેમાંથી 47 તો માત્ર બાળકો હતા. 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે મોરબીના ઐતિહાસિત ઝુલતા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે વર્ષ 1880માં તે પુલ બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો અને દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
#WATCH मोरबी ब्रिज हादसे में ओरेवा ग्रुप के जयसुख पटेल को न्यायिक हिरासत में भेजा गया। इससे पहले उसने मोरबी में मुख्य न्यायिक दंडाधिकारी की अदालत में आत्मसमर्पण किया था। pic.twitter.com/bWp28Cez6M
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023