કેનેડામાં ગુમ થયેલા અમદાવાદના હર્ષ પટેલનું કેવી રીતે થયુ મોત ? સામે આવી હકિકત

હાલમાં જ કનેડામાં એક ગુજરાતી યુવકની લાશ મળી હોવાની ઘટના સામે આવી હતી, જે અમદાવાદનો હર્ષ પટેલ હતો. આ ઘટના સામે આવ્યા બાદ પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયુ. મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ કરતો હતો અને 2 દિવસથી ગુમ થયેલ આ વિદ્યાર્થીનો આખરે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે હવે તેનું મોત કેવી રીતે થયુ તેનું કારણ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે. હર્ષ પટેલ ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તેનું મોત લેક ઓન્ટારિયોમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતો અને ભણવા માટે કેનેડા ગયેલ હર્ષ શુક્રવારથી ગુમ હતો અને તેની લાશ પોલીસને શનિવારે સાંજે લેક ઓન્ટારિયોમાંથી મળી આવી હતી. જો કે, હર્ષનું મોત કયા સંજોગોમાં થયું તેનું કારણ સત્તાવાર જાહેર કરવામાં નથી આવ્યુ. જણાવી દઇએ કે, હર્ષના મોતના સમાચાર મળતા જ ગુજરાતથી તેના કાકા કેનેડા પહોંચ્યા હતા.

જો કે, હર્ષની અંતિમવિધિ ગુજરાતમાં જ કરવામાં આવવાની છે અને કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવાની તૈયારી પણ શરૂ કરાઇ છે. જો કે, આ પ્રક્રિયામાં 12 દિવસ જેટલો સમય લાગી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, હર્ષ શુક્રવારે તેના એક મિત્રના ઘરે અસાઈન્ટમેન્ટ વર્ક માટે જવાનું કહીને નીકળ્યો હતો.

પણ શનિવાર સવાર સુધી તે પરત ન ફરતા અને તેનો ફોન પણ બંધ આવતા તેના મિત્રોએ જ પોલીસનો સંપર્ક કર્યો હતો. હર્ષ જે મિત્રના ઘરે જવા નીકળ્યો હતો તેનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તે તેના ઘરે ગયો જ નહોતો. ત્યારે અચાનક તેના ગુમ થતાં કેનેડામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર તેને શોધવા માટે અપીલ પણ કરી હતી. જો કે, પોલિસ શોધખોળમાં શનિવારે સાંજે હર્ષનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઇ.

ર્ષના મોત અંગે ભારતીય એમ્બેસીએ ઘાટલોડિયામાં રહેતા તેના પરિવારને જાણ કરતા પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. હર્ષે ગુજરાતમાં પોતાનો MBAનો અભ્યાસ પૂરો કર્યો હતો પછી તે કેનેડા ગયો હતો. તે ભણવાની સાથે જોબ પણ કરતો હતો, પણ બે મહિના પહેલા જ તેણે જોબ છોડી દીધી હતી. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતો હર્ષ છેલ્લે ટોરેન્ટો ડાઉનટાઉનમાં જોવા મળ્યો હતો. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, હર્ષના એક માસી કેનેડામાં રહેતા હોવાને કારણે તે થોડો સમય તેમના ઘરે પણ રહ્યો હતો. હર્ષ 2022માં જ કેનેડા ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, હર્ષની અંતિમવિધિ કેનેડામાં કરવા માટે ગુજરાતી સમુદાયે તૈયારી પણ બતાવી હતી. જો કે, પરિવારજનોએ હર્ષના પાર્થિવ દેહને ઈન્ડિયા પરત લઈ જવાનો આગ્રહ રાખતા અને તેના માટે હ્યુમન ફોર હાર્મનીએ જો જરૂર હોય તો ફંડ એકત્ર કરવાની પણ ઓફર કરી. પણ મૃતકના પરિવારજનોએ ઈનકાર કરી દીધો. હર્ષની બોડીને અમદાવાદ લઈ જવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે અને 40 હજાર ડોલર જેટલો ખર્ચ પણ થઈ શકે છે અને આ પ્રક્રિયામાં 12-15 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે. એટલે કદાચ હર્ષનો પાર્થિવ દેહ આવતા મહિને અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.

Shah Jina