સંસ્કારી નગરી વડોદરાના સુર સાગર તળાવમાં ભગવાન શિવની ભવ્ય સુવર્ણ જડિત 111 ફૂટની પ્રતિમા થઇ સ્થાપિત, જોઈને ભક્તો થયા અભિભૂત… જુઓ વીડિયો

મહા શિવરાત્રીનો પર્વ વડોદરા વાસીઓ માટે ખરા અર્થમાં મહાપર્વ બની ગયો, સુર સાગર તળાવમાં બનેલી ભવ્ય સુવર્ણ જડિત પ્રતિમાના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ

ગુજરાતની ધરતી સંતો મહંતોની ધરતી છે અને ગુજરાતની જનતા પણ ખુબ જ ધર્મ પ્રેમી છે. ત્યારે આજે શિવરાત્રીનો પાવન તહેવાર છે અને આજના દિવસે શિવભક્તો પણ ભક્તિમાં લિન જોવા મળી રહ્યા છે. એવા સમયે વડોદરાના પ્રખ્યાત સુર સાગર તળાવમાં ભગવાન શંકરની વિશાળ અને ભવ્ય 111 ફૂટ ઊંચી સુવર્ણ જડિત પ્રતિમાને ભક્તો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

આજે મહા શિવરાત્રીના પવિત્ર દિવસે શિવભક્તો પણ આ પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સુર સાગર તળાવના મધ્યમાં સ્થાપિત આ પ્રતિમા રાજસ્થાનના લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી. જેને સુવર્ણ જડિત મઢવાનુ કામ આજથી ત્રણ વર્ષ પહેલા જ શરૂ થઇ ગયું હતું. ત્યારે શિવરાત્રી પહેલા જ આ કામ પૂર્ણ થતા પ્રતિમાને ભક્તો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી અને આજના આ પવિત્ર દિવસે વિધિવત રીતે અનાવરણ કરવામાં આવ્યું.

12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું છે. લોકાર્પણ પહેલાં જ દેવાધિદેવની પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવતા મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ અને શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

આ પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કાર્ય પણ ત્યારે જ શરૂ થયું હતું જયારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો આરંભ થયો હતો. આ ભવ્ય પ્રતિમાને પક્ષીઓથી બચાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત બે ગેસ ગન પણ લગાડવામાં આવી છે આ ગનથી સમયાંતરે ધડાકા થતા રહેશે. જેના કારણે પક્ષીઓ પ્રતિમાની આસપાસ ના આવી શકે.

Niraj Patel