ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના ઘટી, જેમાં ભાગદોડના કારણે 7ના મોત જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટના ત્યારે ઘટી જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘યાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા. અને મોટી ભીડમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેના કારણે ભાગદોડ મચી હતી. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્યની હાલત ખતરાથી બહાર છે.
જો કે ઘટનાની જાણ થતાં જ, મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો.
શરૂ થયેલી શ્રી દેવી લૈરાઈ યાત્રા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા માટે લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક હતું. ભીડની ગતિવિધિઓનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે લૈરાઈ દેવી એક આદરણીય હિન્દુ દેવી છે, જેની પૂજા મુખ્યત્વે ગોવામાં થાય છે, ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં. લૈરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. લૈરાઈ દેવી ‘જાત્રા’, જેને શિરગાંવ ‘જાત્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર વર્ષે બિચોલીમ તાલુકાના શિરગાંવ ગામમાં લૈરાઈ દેવીના માનમાં ઉજવવામાં આવે છે. આ તહેવારની સૌથી મુખ્ય વિશેષતા અગ્નિમાં ચાલવાની પરંપરા છે, જેમાં “ધોંડ” તરીકે ઓળખાતા ભક્તો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ ધાર્મિક વિધિ તેમની શ્રદ્ધા અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક છે.