ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી આગ, પટેલ પરિવારની ખુશી પર છવાયા સંકટના વાદળો
ભાવનગરના સિહોર પાસેથી એક ઘટના સામે આવી, જાનૈયાઓની બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી. પ્રાપ્ત જાણકારી અનુસાર ભાવનગરના સિહોરના બજુડ ગામમાં સોમવારે સવારે પટેલ પરિવાર લગ્નપ્રસંગે ગારિયાધાર જવા માટે ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં લાડી લેવા જઇ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.
ગામના પાદરમાં ઊભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ બસના એન્જિનમાં સ્પાર્ક થયો જેને કારણે આગ ભભૂકી ઊઠી. જો કે સદ્નસીબે સમયસૂચકતા દાખવી તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં બસ સંપૂર્ણપણે ખાખ થઇ ગઈ હતી પરંતુ કોઇ જાનહાનિ થઇ નથી. જો કે ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી જેને કારણે લગ્નપ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે.