દ્વારિકાધીશનો ચમત્કાર તો જુઓ, ભક્તે ગાયોને લંપી વાયરસથી બચાવવા રાખી માનતા, કાળિયા ઠાકરે સાંભળી અને 25 ગાયો સાથે 450 કી.મી.નું અંતર કાપી ભક્ત આવ્યો દ્વારિકા

ઇતિહાસમાં પહેલીવાર અડધી રાત્રે ખુલ્યા દ્વારિકાધીશના કમાડ, 450 કી.મી. દૂરથી પગપાળા ચાલીને આવેલી ગાયોએ કર્યા કાળિયા ઠાકરના દર્શન, જુઓ વીડિયો

આપણા દેશમાં લોકો દવા અને દુઆ બંનેમાં વિશ્વાસ રાખે છે. કોઈ વ્યક્તિ બીમાર થાય તો તેના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરે છે અને ડોક્ટર પાસે દવા પણ કરાવે છે. ત્યારે ઘણીવાર તમે આવા કિસ્સાઓમાં ચમત્કાર થતા પણ જોયા હશે ઘણા લોકોને ઈશ્વરના આશીર્વાદ પણ મળ્યા હશે. ત્યારે હાલ આવો જ એક પરચો દ્વારિકાનાથે બતાવ્યો. જેના સાક્ષાત્કારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દ્વારિકાધીશનો આ સાક્ષાત્કાર અનુભવ્યો છે કચ્છના મહાદેવભાઈ દેસાઈએ. જે કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી છે. એક તરફ જયારે દેશભરમાં લંપી વાયરસનો કહેર ચાલી રહ્યો હતો. આ વાયરસની ચપેટમાં આવીને ગાય માતા મોતને ભેટી રહી હતી, ત્યારે મહાદેવભાઈએ માનતા રાખી કે જો તેમની ગાયો આ વાયરસથી દૂર રહે અને તેમના કઈ ના થાય તો તે દ્વારિકાધીશના દર્શન કરવા માટે ચાલીને જશે.

આ બધા વચ્ચે જ ઈશ્વરનો ચમત્કાર કહો કે બીજું કઈ પરંતુ મહાદેવભાઈની ગાયો કે તેમના વાછરડાને કંઈપણ ના થયું અને પછી તેમને પોતાની માનતા પૂર્ણ કરવાનું નક્કી નકર્યું. મેડક બેટથી દ્વારિકાનું અંતર 450 કિલોમીટર હતું અને મહાદેવભાઈ દ્વારિકાનાથના દર્શન કરવા માટે 25 ગાયો અને 5 ગોવાળને લઈને પગપાળા જ દ્વારકા આવવા માટે નીકળી ગયા. ગાયો પણ અત્યાર સુધી ત્યાં પગદંડી રસ્તા પર ચાલતી હતી અને હવે દ્વારિકા આવવા માટે પાક્કા રોડ પર ચાલવા લાગી.

લગભગ 17 દિવસ સુધી પગપાળા સફર કરીને મહાદેવભાઈ તેમની 25 ગાયો સાથે દ્વારિકા આવી પહોંચ્યા. ઇતિહાસમાં આવી કોઈ પ્રથમ ઘટના હશે જેમાં આટલી બધી ગાયો એકસાથે દ્વારિકાનાથના દર્શન કરવા માટે આવી પહોંચી હોય. ત્યારે હવે પ્રશ્ન એ પણ હતો કે દિવસે નિજ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે આટલી બધી ગાયોને એકસાથે મંદિરમાં દર્શન કરવા કેવી રીતે લઇ જઈ શકાય ?

પરંતુ કહેવાય છે ને કે જો ભક્તિ સાચી હોય તો ભગવાન પણ સામે ચાલીને મળે. એમ મહાદેવભાઈ અને તેમની ગાયો માટે ઇતિહાસમાં પહેલીવાર દ્વારિકા મંદિરના કમાડ અડધી રાત્રે પણ ખુલ્યા અને 25 ગાયો સાથે મહાદેવ ભાઈએ પણ કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર દ્વારા પણ આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત પણ કર્યા હતા.

Niraj Patel