ઝારખંડના દુમકામાં સોમવારે સવારે 17 વર્ષિય અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કડક સુરક્ષા હેઠળ તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.રવિવારે સવારે જ્યારે તેના મોતના સમાચાર આવ્યા ત્યારે દુમકામાં તંગદિલી છવાઈ ગઈ હતી. દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓએ કલાકો સુધી દુમકા-ભાગલપુર રોડ બ્લોક કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વીએચપી, બજરંગ દળ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ બજાર પણ બંધ કરાવ્યું હતું. તંગ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
સોમવારે સવારે પણ આ જ સ્થિતિ રહી હતી. દુમકાની અંકિતા પંચતત્વમાં વિલીન થઇ ગઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો શિકાર બનેલી અંકિતાના દર્દનાક મોતના સમાચારથી દુમકા સહિત સમગ્ર રાજ્યમાં લોકોમાં રોષ અને શોક બંને છે. સોમવારે તેના અંતિમ સંસ્કાર બેડિયા ઘાટ પર કરવામાં આવ્યા હતા. હવે અંકિતાનો દેહ પંચતત્વમાં વિલીન થઇ ગયો છે. અંકિતાના દાદાએ અંકિતાના દેહને મુખાગ્નિ આપી હતી. અંકિતાના મોત પર લોકોએ દુમકામાં તમામ દુકાનો આપોઆપ બંધ કરાવીને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દુમકાની રહેવાસી અંકિતાને 22 ઓગસ્ટે શાહરૂખ નામના યુવકે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
આ ઘટનાને શાહરૂખ નામના આરોપીએ એકતરફી પ્રેમમાં અંજામ આપ્યો હતો, ત્યારબાદ અંકિતાનું સારવાર દરમિયાન રાંચીના રિમ્સમાં મોત થયું હતું. પાંચ દિવસ સુધી જીવન અને મોત વચ્ચે લડતી અંકિતાએ શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ રિમ્સમાં દમ તોડી દીધો હતો. સવાર પડતાં જ આ સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા અને સોમવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમયાત્રા માટે હજારો લોકો એકઠા થયા હતા અને તેમણે ભારે રોષ અને શોક વચ્ચે અંકિતાને અંતિમ વિદાય આપી હતી.
દુમકાના સાંસદ સુનીલ સોરેન પણ અંતિમયાત્રામાં સામેલ થયા હતા. અંકિતા મર્ડર કેસને લઈને રાજકારણ પણ ગરમાયું છે. હેમંત સોરેન સરકારને ઘેરી છે ત્યારે પોલીસ અધિકારી નૂર મુસ્તફા પર પક્ષપાતના આરોપને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ગોડ્ડાથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે અમે દુમકાની દીકરીને બચાવી શક્યા નથી. મુખ્યમંત્રીજી અને કુનબા પાર્ટી કરતા રહ્યા. હવે કલમ 144 અને સામાન્ય લોકોને જેલ મોકલીને હેરાન કરવાનો ખેલ ચાલી રહ્યો છે. જે રાજ્યની સરકાર મહિલાઓના સન્માન બાબતે ગંભીર નથી બની શકતી, તે સરકારને જનતા ક્યારેય ગંભીરતાથી લેશે નહીં.
અમે આરોપીઓની ધરપકડ અને નૂર મુસ્તફાને બરતરફ ન થાય ત્યાં સુધી ચેનથી નહીં બેસીએ. પરિવારજનો સહિત બધા જ અંકિતાની હત્યાના આરોપી શાહરૂખને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે અને શહેરમાં દેખાવો કરી રહ્યા છે. અંકિતાના વિસ્તાર જરુવાડીહથી દુધની ટાવર ચોક સુધી લોકોએ પોલીસ વિરુદ્ધ ધરણા-પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આરોપી શાહરૂખ વિરુદ્ધ લોકોમાં ઘણો ગુસ્સો છે. દેખાવકારોને સામાન્ય લોકોનું ભારે સમર્થન હતું. દુમકા બંધ દરમિયાન દુકાનો આપોઆપ બંધ થઈ ગઈ હતી. જે કેટલીક દુકાનો ખુલ્લી હતી તેને પણ વિરોધીઓએ બંધ કરાવી હતી.
શાહરૂખને ફાંસી આપવાની માંગણી અને દુમકામાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે શહેરમાં કાઢવામાં આવેલા સરઘસ અને પ્રદર્શનની આગેવાની મુખ્યત્વે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખે કરી હતી. ઉલ્લેખનીય છે કે, અંકિતા કેસ બાદ વિસ્તારની છોકરીઓ ડરી ગઈ છે અને હવે તેઓ શાળાએ જતા ડરે છે. જેના કારણે રસ્તાઓ પર 5 કે 5થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ મામલે ડુમકા એસપીનું કહેવું છે કે શહેરની શાંતિમાં કોઈ ખલેલ ન પડે તે માટે સુરક્ષાની દૃષ્ટિએ દરેક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
Jharkhand | Mortal remains of the std 12th girl who succumbed to her injuries after being set ablaze by a boy for allegedly turning down his proposal, were taken to cremation ground for her last rites earlier today.
Accused Shahrukh was arrested on 23rd August. pic.twitter.com/IDIVSf0cPx
— ANI (@ANI) August 29, 2022
એસપી દુમકાએ જણાવ્યું કે સમગ્ર મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવામાં આવી રહ્યો છે જેથી પીડિતાને જલ્દી ન્યાય મળી શકે. ડીએસપીનું કહેવું છે કે આ કેસમાં મુખ્ય આરોપી શાહરૂખની ધરપકડ થઈ ચૂકી છે.જ્યારે અન્ય એક આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. જે બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અંકિતાના પરિવારના સભ્યોની સુરક્ષા માટે પણ વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.