આ દિવાળી વેકેશનમાં ક્યા ફરવા જવાનો પ્લાન છે તમારો ? જરા એક નજર ગુજરાતના આ સ્થળો ઉપર પણ નાખી લો, વિદેશના મોહ પણ છૂટી જશે

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઘણા લોકો દિવાળીમાં ફરવા જવાના આયોજનો કરતા હોય છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘણા લોકો આ રજાઓનો આનંદ બહાર પ્રવાસ કરીને માણતા હોય છે. ત્યારે આ દિવાળીમાં પણ ઘણા લોકો પોતાના પ્લાન બનાવી લીધા હશે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળી ઉપર પણ લોકો ફરવા નથી જઈ શક્યા તો આ વર્ષે તેમના ફરવાનો આનંદ બમણો થશે. આજે અમે તમને ગુજરાતના એવા કેટલાક પ્રવાસન સ્થળો વિશે જણાવીશું જ્યાં જઈને તમને વિદેશનો મોહ પણ છૂટી જશે, તો ચાલો જોઈએ ગુજરાતની એવી સુંદર સુંદર જગ્યાઓ.

1. સાપુતારા:
સાપુતારા ગુજરાતનું એક ખુબ જ સુંદર પ્રવાસન સ્થળ છે. તેને એક હિલ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાપુતારામાં ચોમાસા બાદ વિસ્તરેલી પ્રકૃતિને માણવી એ ઘણો જ સુંદર લ્હાવો છે. ઘણા લોકો દિવાળી વેકેશનમાં સાપુતારા આવવાનું નક્કી કરતા હોય છે. તો તમે પણ આ દિવાળી સાપુતારા પ્રવાસનું આયોજન કરી અહીંના નયનરમ્ય દૃશ્યો, પર્વતો, જંગલો અને ઝરણાંની મુલાકાત લઇ શકો છો.

2. સ્ટેચ્યુ ઓફ યુનિટી:
વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંયા દુનિયાભરના પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. સરદાર પટેલની પ્રતિમા ઉપરાંત બીજા પણ ઘણા આકર્ષણો આ સ્થળે જોવા મળે છે જેમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો – વિઝ્યુઅલ ગેલરી, સરદાર સરોવર ડેમ, વ્યુઈંગ ગેલરી, બટરફ્લાય ગાર્ડન, કેક્ટર્સ ગાર્ડન જેવા અનેક ફરવાલાયક આકર્ષણો જોવા મળશે.

3. શિવરાજપુર બીચ:
શિવરાજપુર બીચ આજે એવી એક જગ્યા બની ગઈ છે જે વિદેશના બીચને પણ ભુલાવી દે. શિવરાજપૂર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફેલગ સર્ટિફિકેટ મળ્યું છે. બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. ત્યારે આ દિવાળીની રજાઓમાં તમે પણ શિવરાજપુર બીચનો આનંદ માણી શકો છો.

4. કચ્છનું સફેદ રણ:
ગુજરાતના કચ્છમાં આવેલું આ સફેદ રણ નિહાળવા માટે દુનિયાભરના પર્યટકો આવતા હોય છે. એટલે જ ખાસ અહીંયા રણોત્સવની ઉજવણી હેઠળ વિશાળપાયે પ્રવાસીઓ માટે વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. કચ્છના સફેદ રણમાંથી તમને પાકિસ્તાનની સીમા અને કેટલોક વિસ્તાર પણ જોવા મળી શકે છે.

5. ગીરનું અભ્યારણ્ય:
ચોમાસા બાદ જો તમે પણ કુદરતને નજીકથી નિહાળવા માંગતા હોય તો આ દિવાળી ઉપર તમે ગીરનું અભયારણ્ય જોવાનો આનંદ પરિવાર અને મિત્રો સાથે લઇ શકો છો. ગીર નેશનલ પાર્ક દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે. તમને અહીંયા જંગલ, પહાડો સિવાય 7 મુખ્ય નદીઓ દાતારડી, હિરણ, રાવલ વગેરેથી બનેલો એક ખાસ નજારો જોવા મળશે, તેમજ વન્ય પ્રાણીઓને નજીકથી પણ નિહાળી શકશો.

6. ભુજ:
પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગુજરાતનું ઐતિહાસિક સ્થળ ભુજ પણ છે. અહીંયા કચ્છી કલા સંસ્કૃતિનો એક સુંદર નજારો માણવા તમને મળી જશે. ભુજમાં તમે ભુજીયો કિલ્લો, હમીરસર ઝીલ, પ્રાગ મહેલ, આઇના મહેલ અને શરદબાગ પેલેસ જેવી જગ્યાઓ ફરી શકો છો.

7. પાવાગઢ/ચાંપાનેર:
મહાકાળી માતાજીનું પાવન ધામ એવા પાવાગઢ ચાંપાનેરમાં તમે આ દિવાળીએ સુંદર પ્રવાસ માણી શકો છો. પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ મળેલો છે. અહીંયા ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે. આ સાથે જ તમે ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના પણ દર્શન કરી શકો છો.

8. સોમનાથ:
સોમનાથ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ છે. ગુજરાના આ પવિત્ર સ્થાનની શેરીઓમાં તમને પૌરાણિક કથાઓ અને અહીંનો ભવ્ય ઇતિહાસ ગુંજતો સંભળાશે. સોમનાથ દાદાના દર્શન સાથે સાથે તમે અહીંયાના દરિયાનો પણ પ્રાકૃતિક નજારો પણ માણી શકો છો.

9. પોરબંદર:
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ એવા પોરબંદરમાં પણ તમે દિવાળીની રાજાઓનો આનંદ માણી શકો છો. અહીંયા તમને જળાશયો, શાંત દરિયા કિનારો, વન્ય જીવો, સુદામા મંદિર, ભારત મંદિર, રામ મંદિર, કિર્તી મંદિર, માધવપુર ઘેડનો દરિયા કિનારો જોવા મળી રહેશે.

Niraj Patel