આપણે સમાચાર પત્રોમાં, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર અને હાલ સોશિયલ મીડિયા ઉપર કોઈ વ્યક્તિના ખોવાઈ જવાની જાહેરાત જોતા હોઈએ છીએ, જેમાં ગુમ થયેલ વ્યક્તિ કે બાળકને શોધી આપનારને લોકો હજારો રૂપિયાનું ઇનામ પણ આપતા હોય છે. પરંતુ હવે દેશમાં પ્રાણી પ્રેમ પણ વધ્યો છે અને લોકો પોતાના પાળતું પ્રાણીઓને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવતા હોય છે. ત્યારે જો આવા પાલતુ પ્રાણીઓ ખોવાઈ જાય કે ગુજરી જાય તો તેમના માથે દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે.
હાલ આવું જ કઈ અમદાવાદના એક દંપતી સાથે બન્યું છે. જેમની પાલતુ બિલાડી ખોવાઈ જવા ઉપર તે ખુબ જ દુઃખી થઇ ગયા છે અને તેને શોધવા માટેના તમામ પ્રયત્નો પણ તેઓ કરવા લાગ્યા છે. આ ઉપરાંત તેમને બિલાડીને શોધી લાવનાર વ્યક્તિને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્ર દિવાસી અને પૂજા ગુલહારની પોર્શિયન બિલાડી “બિજલી” ચાર ઓગસ્ટના રોજ તેમના ઘર પાસેથી જ ગુમ થઇ હતી જેના બાદ તેની શોધખોળ કરવા માટે દંપતીએ ઘણી જ મહેનત કરી. આસપાસના બધા જ સીસીટીવી કેમેરા પણ ફેંદી નાખ્યા. છતાં પણ “બિજલી”ની કોઈ ખબર ના મળી જેના બાદ તેમને બિલાડીને શોધી આપનારને 21 હજાર રૂપિયા રોકડા ઇનામ તરીકે આપવાની જાહેરાત કરી છે.