BREAKING: અદાણી CNGના ભાવમાં થયો સૌથી મોટો ઘટાડો

છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારી સતત વધતી જઇ રહી છે. ખાણી-પીણીની ચાજવસ્તુઓ, શાકભાજી, પેટ્રોલ-ડિઝલ, CNGના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો હતો ત્યારે હવે આ મોંઘવારી વચ્ચે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. CNGના વાહન ચાલકો માટે સારા સમાચાર છેે. ઘણા લાંબા સમય બાદ CNGના ભાવમાં ઘટાડો થયો છે. અદાણીએ CNGના ભાવમાં 03.38 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2 ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. જણાવી દઇએ કે, સીએનજીનો જૂનો ભાવ 87.38 હતો અને હવે ભાવમાં ઘટાડા બાદ CNG ગેસ પ્રતિ કિલો 83.90 રૂપિયા થયો છે. CNG સહિત ઘણી વસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે.

ત્યારે સામાન્ય માણસની તો આ મોંઘવારીએ કમર તોડી નાખી છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં પણ ભાવ વધારો થતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. ત્યારે હવે અદાણીના ગેસમાં ભાવમાં ઘટાડો થતાં સીએનજી વાહન ચાલકોને થોડી રાહત મળી છે. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.84 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે નવો ભાવ 83.90 પ્રતિ કિલોગ્રામ થયો છે.

CNGમાં ભાવ ઘટાડા બાદ હવે વાહનચાલકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે,ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલના રોજ મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આનો ફાયદો દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના લોકોને મળ્યો હતો. કંપનીએ કહ્યું હતુ- CNG અને PNGની નવી કિંમતો મંગળવાર રાતથી જ લાગુ થઈ હતી. સરકારી માલિકીની ગેસ વિતરણ કંપની મહાનગર ગેસ લિમિટેડે મંગળવારે રાત્રે મુંબઈમાં CNG અને PNGના ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી.કંપનીએ જણાવ્યું કે શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6 અને પીએનજીના ભાવમાં પ્રતિ એસસીએમ રૂ. 4નો ઘટાડો કરવામાં આવ્યો છે.

કંપનીએ કહ્યું કે ગેસના મામલામાં સરકારી પુરવઠામાં વધારો થવાને કારણે તેને CNG-PNGની કિંમત ઘટાડવામાં મદદ મળી છે.આ સિવાય વૈશ્વિક બજારમાં કિંમતોમાં નરમાઈથી પણ કંપનીને મદદ મળી છે. મહાનગર ગેસ લિમિટેડના સત્તાવાર નિવેદન અનુસાર, કિંમતમાં ઘટાડા બાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNGની કિંમત હવે 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.તેવી જ રીતે, PNGની નવી કિંમત સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 48.50 રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે કિંમતમાં ઘટાડા બાદ CNG પર ચાલતા વાહનોની ઈંધણની કિંમતમાં 48 ટકાનો ઘટાડો થશે,

જ્યારે PNG યુઝર્સ એલપીજીની સરખામણીમાં 18 ટકા સુધીની બચત કરી શકશે.જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં મહાનગર ગેસે સીએનજી અને પીએનજીના છૂટક ભાવમાં વધારો કર્યો હતો.3 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેણે તાત્કાલિક અસરથી CNG માટે 6 રૂપિયા પ્રતિ કિલો અને પાઇપ્ડ નેચરલ ગેસ માટે 4 રૂપિયા પ્રતિ યુનિટના વધારાની જાહેરાત કરી છે. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો હતો. જો કે, હવે કંપનીએ CNG-PNGની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

Shah Jina