નમ આંખે આપવામાં આવી ભૂપિંદર સિંહને અંતિમ વિદાય, અડધી રાતે જ થયા અંતિમ સંસ્કાર- પરિવારની ભાવુક કરી દેનારી તસવીર આવી સામે

પંચતત્વમાં વિલીન દિગ્ગજ સિંગર : અડધી રાતે થયા અંતિમ સંસ્કાર, પરિવારની રડી-રડીને હાલત ખરાબ

જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું સોમવારે નિધન થયું હતુ. તેમણે મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 82 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. એટલું જ નહીં ભૂપિન્દર સિંહના અંતિમ સંસ્કાર પણ મધ્યરાત્રિએ જ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂપિન્દર સિંહના પાર્થિવ દેહના મધ્યરાત્રિએ ઓશિવારા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજે ભૂપિન્દર સિંહની પત્ની મિતાલી સિંહે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.

ડોક્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર તપાસ દરમિયાન તેમને કોલોન કેન્સર હોવાની શંકા હતી. આ સાથે તેમને કોરોના પણ થયો હતો. તેથી જ કેન્સરના ટેસ્ટ કરવામાં આવ્યા ન હતા. સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં પરિવારજનોએ મોડી રાત્રે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. ગાયકના અંતિમ સંસ્કારની તસવીરો જોઈને ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તે પંચતત્વમાં વિલીન થઈ ગયા.

ગાયકના પરિવારના સભ્યો ઉપરાંત , એક્ટર-કોમેડિયન સુનીલ પોલ, પ્લેબેક સિંગર શાહિદ માલ્યા અને ગોલ્ડી બહેલ સહિત અન્ય ઘણી હસ્તીઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી. તમને જણાવી દઈએ કે ભૂપિન્દર સિંહે ઓલ ઈન્ડિયા રેડિયોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ભૂપિન્દરને મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ચેતન આનંદની ‘હકીકત’માં ગીત ગાવાની તક આપવામાં આવી હતી. ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર હતા અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા.

તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. ભૂપિન્દર સિંહે બાળપણમાં તેમના પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખ્યા હતા, જેઓ પોતે સંગીતકાર હતા. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે કેટલાક લોકપ્રિય યુગલ ગીતો ગાયા છે. ભૂપિન્દર સિંહને મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયાં, હકીકત અને બીજી ઘણી ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે.

Shah Jina