ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ રોયલપાર્ક-5માં રહેતાં 45 વર્ષિય આશિષભાઈ ઠકકર કે જેઓ રૈયાધારમાં આર.એમ.સી કવાર્ટર-13 માળીયાની સામે ચાલતી બાંધકામ સાઈટમાં છેલ્લા બે મહિનાથી સ્ટોક સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં હતાં.
તેઓ સાંજે 6 વાગ્યા આસપાસ એક ડમ્પર કે જે માલ સપ્લાય કરવા આવ્યુ હતું તેની અડફેટે આવતા મોતને ભેટ્યા.ડમ્પર ચાલક સાઈટ પર ડમ્પર રીવર્સમાં લેતો હતો અને પાછળ ઉભેલ આશીષભાઈને ડમ્પરે હડફેટે લીધા, જેને કારણે તેમના માથે વ્હીલ ફરી વળતાં માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને તેેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
જો કે, ઘટનાસ્થળેથી 108ને જાણ કરવામાં આની પણ 108ના ઈએનટીએ આધેડને મૃત જાહેર કર્યા હતા. આ મામલે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ પોલિસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બીજો એક મામલો પણ રાજકોટનો સામે આવ્યો છે. જેમાં મોટીમારડ ગામે રહેતાં રતિલાલ વિરધરીયા 25 એપ્રિલના રોજ બાઇક લઈ વાડોદર રોડ પર આવેલ વાડીએ ગયા હતાં અને ત્યાંથી સાંજના પરત ફરતી વેળાએ ઉદકીયા ગામના પાટિયા પાસે બાઇક હેન્ડલ પરથી કાબૂ ગુમાવતાં તેમની બાઇક ખાડામાં ઉતરી ગઇ હતી અને તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે તેમને સારવાર હેઠળ પહેલા ધોરાજી અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પણ રાજકોટ હોસ્પિટલ ખાતે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બાદ આ મામલાની જાણ સિવિલ ચોકીના સ્ટાફે પાટણવાવ પોલીસને કરી હતી.