પરિવારજનોનું હૈયાફાટ રૂદન! અમદાવાદનું ઐતિહાસિક શકરી તળાવમાં એક સાથે 3 યુવકો ડૂબતાં કરૂણ મોત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત પ્રાચીન શકરી તળાવમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી, ચાર યુવાનો નગરપાલિકાની ગંદકી સાફ કરવાની હોડી લઈને અંદર પ્રવેશ્યા, જો કે ચોથો યુવાન થોડા સમય પછી જ હોડીમાંથી બહાર આવી ગયો જ્યારે બચેલા ત્રણ યુવાનો હોડીમાં રહ્યા. આ જ સમયે હોડી ઊલટાઈ જતાં પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણેય યુવાનોના ડૂબી ગયા, જેને કારણે તેમનું મોત થયુ.

દુર્ઘટનાની માહિતી મળતાં જ આસપાસના નાગરિકો અને અગ્નિશામક વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે આવી પહોંચી હતી.ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી અને તલાશ શરૂ કરી હતી. શકરી તળાવની નજીક સિક્યોરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિક લોકો પાસેથી ખબર પડી છે.

આ બાબતે જાણકારી મળતાં વેજલુરના વિધાનસભ્ય અમિત ઠાકર, ડીસીપી ઝોન-7 શિવમ વર્મા અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણી પણ ઘટનાસ્થળે હાજર થયા હતા.સ્થાનિક નાગરિકોના સહકાર અને અગ્નિશામક વિભાગની સતત કોશિશ બાદ, ડૂબી ગયેલા ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.

અગ્નિશામક વિભાગ દ્વારા સૌપ્રથમ બે યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારપછી અંધારું પડી જતાં શોધખોળ કાર્યમાં અવરોધ ઊભો થયો હતો. આથી પ્રકાશ વ્યવસ્થા ચાલુ કરીને ત્રીજા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને રાત્રિના 8 વાગ્યાની આસપાસ ત્રીજા યુવાનનો મૃતદેહ બહાર કાઢી શકાયો હતો. આ બચાવ કાર્ય 2 કલાક સુધી ચાલ્યું હતું. આ દરમિયાન એક મૃતકની માતાએ જોરદાર વિલાપ કરતાં વાતાવરણ દુઃખમય બની ગયું હતું. તે બોલતી હતી કે, મારો પુત્ર, મને જવા દો…મને જવા દો…
