ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, જે દિવસને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં જામનગરમાંથી અકસ્માતનો મામલો સામે આવ્યો. બલંભા ગામના પાટિયા નજીક એક ટ્રકે 3 મહિલાઓને અડફેટે લીધા જેને કારણે ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા પોલિસ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ત્રણેય મહિલા મૂળ પાટણના બકુત્રા ગામના વતની છે. મૃતકોમાં છાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયાનો સમાવેશ થાય છે. ત્રણેય પગપાળા દ્વારકા દર્શને જતા હતા ત્યારે બલંભા ગામના પાટિયા પાસે બેફામ જતા ટ્રકે મહિલાઓને ટક્કર મારી હતી. ત્યારે આ ઘટનાને લઇ ત્રણેય મહિલાઓના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
તમામ મહિલાઓ પાટણના સાંતલપુર બકુત્રા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. આઠ મહિલાઓનું ગ્રુપ દ્વારકાના જગત મંદિરે દર્શન કરવા માટે પદયાત્રા કરી રહ્યું હતું.પૂરપાટ ઝડપે આવેલ ટ્રકે મહિલાઓને હડફેટે લીધી અને અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.