ધૈર્યરાજ જેવી જ બીમારીનો ભોગ બન્યો છે કોડિનારનો વિવાન, સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ માગી આર્થિક મદદ

થોડા મહિનાઓ પહેલા માસુમ ધૈર્યરાજ માટે સોશિયલ મીડિયાથી લઈને જાહેર સ્થળો ઉપર લોકોએ મદદ માટે હાંકલ કરી હતી અને લોકોએ પોતાની યથાશક્તિ અનુસાર દાન પણ આપ્યું હતું અને તેની સારવારમાં વપરાનાર 16 કરોડના ઇન્જેક્શન માટે નાણાં પણ ભેગા થયા અને તેને ઇન્જેક્શન પણ લાગી ગયું હતું. હવે ધૈર્યરાજ બાદ કોડીનારના એક માસુમ બાળક વિવાનની મદદ માટે લોકો હાંકલ કરી રહ્યા છે.

ગીર-સોમનાથના કોડીનારના વિવાનને પણ ધૈર્યરાજની જેમ સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA 1 નામની બિમારી છે, તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોવાથી પરિવારે અત્યાર સુધી 2 કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યા છે, ત્યારે વધુ રકમની જરૂર હોવાથી પરિવાર મદદ માટે ગાંધીનગર આવી પહોંચ્યો છે. હાલમાં વિવાનની સારવાર મુંબઈ ની હોસ્પિટલમાં ચાલી રહી છે.

કોડીનાર તાલુકાના આલીદર ગામમાં રહેતા અશોકભાઈ વાઢેર નો ચાર મહિનાનો પુત્ર વિવાન આ ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. તેના પરિવારજનો સામાજિક સંસ્થાની મદદથી ફંડ એકત્ર કરી રહ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી પરિવાર ફંડ એકત્રિત કરવા માટે મહેનત કરી રહ્યો છે. આટલા સમયમાં પરિવાર 2 કરોડ રૂપિયા જેટલી રકમ એકત્ર કરી શક્યું છે.

વિવાનના પિતા અશોકભાઈએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આ બિમારી માટે 16 કરોડના એક ઇન્જેક્શનની જરૂર પડે છે. 2 કરોડ જેટલી રકમ વિવાનના એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે અને બીજી 50થી 80 લાખ જેટલી ક્રાઉડ ફંડીંગ થકી ટૂંક સમયમાં તેના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

તેના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે બાળક જ્યારે 2 મહિનાનું હતું, ત્યારે આ અસાધ્ય રોગની જાણ થઈ હતી. હાલ આ બાળક 4 મહિનાનો છે. તેની સારવાર મુંબઈમાં એસ.આર.સી.સી હોસ્પિટલમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો ઉપર વિવાનની મદદ માટેની હાંકલ ચાલી રહી છે. તેના પરિવારજનો ઉદ્યોગપતિઓ અને સરકાર પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યા છે.

Niraj Patel