અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આણંદ પાસે ચાલુ ગાડીઓ ઉપર થયો પથ્થર મારો, કેટલીય ગાડીઓના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ

દિવાળીનો તહેવાર હોય રસ્તાઓ અને બજારોમાં ભારે ભીડ જામી રહી છે. ત્યારે આ દિવાળીની રજાઓમાં ઘણા લોકો દૂર રહેતા હોય પોતાના વતન તરફ જતા હોય છે, અને ઘણા લોકો આ સમયે ફરવા માટે પણ નીકળતા હોય છે, ત્યારે ગઈકાલે ધન તેરસની રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર એક ઘટના બની જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગત રાત્રે વડોદરાથી અમદાવાદ તરફ જતી કેટલીક કારો પર પથ્થર મારવામાં આવ્યા હતા. આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી. આ ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.

માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા 12થી વધુ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ મુસાફરોમાં અચાનક આવી ઘટના બનવાના કારણે ફફડાટ જરૂર વ્યાપી ગયો હતો.

જો કે પોલીસને હાઇવે પર કોઈ જગ્યાએ કાચ પડ્યાના નિશાન જોવા મળ્યા ન હતા. આણંદ એલસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પથ્થરમારાની ઘટના આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બની છે. પરંતુ આ ઘટનામાં અજાણ્યા ઈસમો કોણ હતા તેની કોઇ ભાળ મળી ન હતી.

મંગળવાર રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં વડોદરાથી અમદાવાદ જતી ગાડીઓ પર પથ્થર ફેંકાયા હતા. આણંદથી થોડા આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા.

ત્યારે હવે આ ઘટનાને લઈને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિવાળીના સમયમાં લોકો ઘરેણાં અને રોકડ રૂપિયા પોતાની સાથે રાખી અને ગાડીમાં જતા હોય છે જેના કારણે લૂંટના ઇરાદે પણ ગાડીઓ ઉપર પથ્થરમારો કર્યો હોઈ શકે છે.

Niraj Patel