રાજ્યભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા યુવાનો કોઈ નાની નાની વાતમાં પણ આપઘાત કરી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ આપઘાતનો વધુ એક કિસ્સો વલસાડથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકે ફેસબુક ઉપર વીડિયો બનાવ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઉમરગામ રોહિત વાસ ખાતે રહેતા રોહિત પરિવારના 28 વર્ષીય યુવાન સચિન નરેશ સુરવેએ પોતાના જ ઘરમાં લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી અને ગળે ટુંપો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા યુવાને ફેસબુક ઉપર એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેને પરણિત પ્રેમિકાના છોડી દીધા બાદ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
યુવકે આપઘાત કરી લીધા બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. જેના બાદ ઉમરગામ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. આપઘાત કરીને મોતને ભેટનાર યુવક સચિનને નજીકમાં જ રહેતી પરણિતા સાથે પ્રણય સંબંધો બંધાયા હતા. જેને લઈને થોડા સમય પહેલા જ પરણિતાના સ્વજનો સાથે સચિનનો વિવાદ પણ થયો હતો.
આ વિવાદ બાદ તાજેતરમાં જ સચિન વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઇ હતી. જેના કારણે પ્રેમિકાએ તેનો સાથ છોડી દીધો હતો. પ્રેમિકાના સાથ છોડી દીધા બાદ યુવક આઘાતમાં આવી ગયો હતો અને તેને આખરે મોતને વહાલું કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ પહેલા તેને એક ફેસબુક વીડિયો પણ બનાવ્યો અને આ વીડિયોમાં તેને એક મહિલા સહિત બે પુરૂષનો નામનો ઉલ્લેખ કરીને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી અપીલ કરી હતી.