કોરોનાની પહેલી અને બીજી લહેરે ઘણા લોકોના જીવ લીધા, સામાન્ય લોકો સાથે ઘણા સેલેબ્રિટીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જયારે હવે કોરોનાની ત્રીજી લહેરના વાવડ વર્તાઈ રહ્યા છે ત્યારે પણ ઘણા લોકો કોરોનાની ચપેટમાં આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલ એવી જ એક ખબર ક્રિકેટ જગતમાંથી આવી છે, જ્યાં એક જાણીતા ક્રિકેટરનું નિધન થયું છે.
પ્રાપ્ત માહીતી અનુસાર સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપ જાડેજાનું મંગળવારના રોજ કોરોનાના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 69 વર્ષની હતી. તેમના નિધનની જાણકારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિઓએશન દ્વારા આપવામાં આવી છે. તેમના નિધન બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતમાં પણ ઊંડું દુઃખ વ્યાપી ગયું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે, “સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જણ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે. કોવિડ-19 સામે લડતા આજે વહેલી સવારે તેમનું વલસાડમાં અવસાન થયું હતું.” મૂળ જામનગરના રહેવાસી અંબાપ્રતાપસિંહજી જાડેજા મધ્યમ ગતિના ઝડપી બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે આઠ મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત ડીએસપી હતા
જાડેજાના નિધન ઉપર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે એક શોક સંદેશ આપતા જણાવ્યું હતું કે, “અંબાપ્રતાપસિંહજી એક અદ્ભુત ખેલાડી હતા અને મારી તેમની સાથે ક્રિકેટ પર ઘણી વખત સારી વાતચીત થઈ હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”