જમ્મુ-શ્રીનગર NH પર દર્દનાક અકસ્માત, 300 ફૂટ ઊંડી ખાઇમાં પડી SUV કાર- 10 લોકોના મોત

જમ્મુમાં 300 ફૂટ ઊંડી ખાઇમાં પડી ટેક્સી, 10ના દુઃખદ મોત-નીચે જુઓ બધી જ તસવીરો

ગુરુવારે મોડી રાત્રે જમ્મુના રામબનમાં એક ટેક્સી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ અને તેના કારણે 10 લોકોના મોત થયા. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં 1.15 વાગ્યે અકસ્માત થયો હતો. રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર ટેક્સી શ્રીનગરથી જમ્મુ જઈ રહી હતી. રસ્તામાં ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઇ. અત્યાર સુધીમાં 10 મુસાફરોના મૃતદેહ ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી એક પેસેન્જર કેબ જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનાની જાણ લગભગ 1.15 વાગ્યે થઈ હતી.

માહિતી મળી હતી કે જમ્મુથી કાશ્મીર તરફ મુસાફરોને લઈ જતી ટેક્સી (ટવેરા) નેશનલ હાઈવે-44 પર બેટરી ચશ્મા પાસે લગભગ 300 મીટર ઊંડી ખાઈમાં પડી. એસએચઓ પીએસ રામબન, પોલીસ ટીમ, એસડીઆરએફની ટીમ અને સિવિલ ક્યુઆરટી રામબન સહિત વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઉંડી ખાઈમાંથી અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ખાઈમાંથી મળી આવેલા બે મૃતદેહોની ઓળખ બલવાન સિંહ પુત્ર પૂરબ સિંહ નિવાસી અમ્બ ઘ્રોઠા જમ્મુ રૂપે થઇ છે, તે કારચાલક હતો. ત્યાં અન્ય એક વ્યક્તિની ઓળખ બિહાર ચંપારણના રહેવાસી વિપિન મુખિયા પુત્ર વિશ્વનાથ મુખિયા તરીકે થઈ છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રામબન માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ દુ:ખદ માર્ગ અકસ્માતની જાણ થયા પછી તેમણે ડીસી રામબન બસીર-ઉલ-હક સાથે વાત કરી છે. તેઓ અધિકારીઓના સતત સંપર્કમાં છે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના પણ વ્યક્ત કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યુ- કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. તેમણે શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી.

Shah Jina